બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય પણ સક્રિય બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રથી NDRFની ૨ ટીમ ગુજરાત મોકલવામાં આવી છે.
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં શક્તિશાળી બનેલું વાવાઝોડું હાલ પોરબંદરથી ૩૪૦ કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી ૩૮૦ કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૧૫ જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય પણ સક્રિય બન્યું છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠે ૯ નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં ૯ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છના બંદરો પર પણ ૯ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદર બાદ હવે કચ્છમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા દરિયાકિનારાના વિસ્તારમાં કલમ ૧૪૪ લગાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ – અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. તો કેન્દ્ર સરકાર પર સ્થિતિ પર નજર રાખી રહી છે.
અમરેલીના જાફરાબાદ બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે નંબર ૩ નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદનો દરિયો વધુ રફ બનતા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ વધતા જાફરાબાદ બંદર પર સતર્કતા વધારાઈ છે. જાફરાબાદ બંદર પર ૨ નંબરનું સિગ્નલ હટાવી ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે.
ગીર સોમનાથમાં વાવાઝોડાના ખતરાને પગલે સ્થળાંત્તર કરાયું છે. ગીર સોમનાથ પોલીસે દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાને વાવાઝોડાના ખતરા સંદર્ભે યલો ઝોનમાં મુકાયો છે. વાવાઝોડાંના પગલે માંડવી અને અબડાસાના ૬૭ ગામોના ૮,૩૦૦ લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.
વાવાઝોડાની સ્થિતિમાં શું કરવું?
- રેડિયો, ટી.વી.સમાચાર, જાહેરાતના સંપર્કમાં રહેવું
- માછીમારોએ દરિયો ન ખેડવો
- બોટને સલામત સ્થળે લાંગરવી
- અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું
- ઘરના બારી-બારણાં, છાપરાની મજબૂતાઈ ચકાસી લેવી
- ફાનસ, ટોર્ચ, ખાદ્ય સામગ્રી સાથે રાખવી
- પાણી, કપડા જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ સાથે રાખવી
- જરૂરી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો
- વાહનો ચાલી શકે એવી સ્થિતિમાં રાખવા
- જરૂર પડે સલામત સ્થળે ખસી જવું
- પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા
વાવાઝોડાની સ્થિતિમાં શું ન કરવું?
- પાણીના સ્ત્રોતની નજીક ન જવું
- ઝાડ કે થાંભલાઓ પાસે ન ઉભા રહેવું
- ઘરની બહાર નિકળવું નહીં
- વીજપ્રવાહ, ગેસ કનેકશન ચાલુ ન રાખવા
- ઘરના બારી-બારણાં ખુલ્લા ન રાખવા
- અફવાઓ ઉપર ધ્યાન ન આપવું
વાવાઝોડા પછીની સ્થિતિમાં શું કરવું?
- તંત્રની સૂચના મળ્યા પછી જ બહાર નિકળવું
- અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં
- ઈજાગ્રસ્ત કોઈ હોય તો પ્રાથમિક સારવાર આપવી
- ઈજાગ્રસ્તોને તાત્કાલિક દવાખાને ખસેડવા
- ખુલ્લા કે છૂટા પડેલા વાયરને અડકવું નહીં
- કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો
- અતિશય નુકસાનગ્રસ્ત, ભયજનક મકાનોને તાત્કાલિક ઉતારી લેવા
- પીવાનું પાણી ક્લોરિનયુક્ત હોવું જરૂરી
- ગંદુ પાણી હોય ત્યાં દવાનો છંટકાવ કરવો