અમદાવાદ રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં ખીચોખીચ ભરેલી ઘરની બાલ્કની તૂટી પડતાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
અમદાવાદમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત અને ધાર્મિક વાતાવરણ સાથે ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં દરિયાપુર વિસ્તારમાં ૧ બિલ્ડીંગની બાલ્કની એકાએક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રથયાત્રાના દર્શન કરવા બાલ્કનીમાં ઉભેલા લોકો નીચે ખાબક્યા હતા. આ દરમિયાન દરિયાપુરમાં ખીચોખીચ ભરેલી ઘરની બાલ્કનીમાં દબાઈ જતા ૧ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જેને લઈને અરેરાટી મચી જવા પામી હતી. જ્યારે ૨૨ થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને તાત્કાલિક તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.