પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપના દિગ્ગજ નેતાઓની મેરેથોન બેઠક તેમના સત્તાવાર નિવાસસ્થાન LKM ખાતે કલાકો સુધી ચાલી, કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે
લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ કવાયતમાં લાગી છે. આ દરમિયાન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના દિગ્ગજ નેતાઓની મેરેથોન બેઠક તેમના સત્તાવાર નિવાસસ્થાન LKM ખાતે કલાકો સુધી ચાલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠક લગભગ ૫ કલાક સુધી ચાલી હતી. એવું માનવામાં આવે છે કે, પીએમ મોદીના નિવાસસ્થાને ભાજપના મુખ્ય નેતાઓની આ બેઠકમાં આગામી ચૂંટણીઓ અને સમાન નાગરિક સંહિતા (યુસીસી) પર ચર્ચા કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મંત્રી બીએલ સંતોષ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો .
અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ મહત્વની બેઠકમાં સરકાર અને સંગઠનમાં ફેરફારથી માંડીને વિવિધ રાજકીય વિષયો પર ચર્ચા ગઈકાલે સાંજે ૦૭:૦૦ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી, જે મોડી રાત સુધી ચાલી હતી અને આશરે ૧૨:૦૦ વાગ્યા સુધી બેઠક ચાલી હતી.
આ મહત્વપૂર્ણ બેઠક બાદ ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ સાથે ઘણા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક, ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમમાં ફેરફાર, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ઘણા રાજ્યોના પ્રભારીઓની નિમણૂક જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.