આરોગ્યલક્ષી સેવા-સુવિધાઓનું વર્ષ ૨૦૨૭ સુધીનું પ્રોજેક્શન તૈયાર કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા બેઠકમાં અધિકારીઓને તાકીદ કરી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સમયાંતરે આરોગ્યવિભાગના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે આરોગ્યલક્ષી મુદ્દે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે મંત્રીએ સમીક્ષા બેઠક યોજીને વિભાગની કામગીરી, પડતર પ્રશ્નો, ભાવી આયોજન સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. આ બેઠકમાં રાજ્યની સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કૉલેજમાં UG,PG,CPSની પ્રવર્તમાન બેઠકોની સમીક્ષા કરીને પ્રોજ્કશન અને મેપીંગ તૈયાર કરવામાં આવ્યું હતુ.
મંત્રી ઋષિકેશ પટેલે તબીબો માટેની ઇન્સેન્ટીવ પોલીસીની પણ આ બેઠકમાં વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. આ બેઠક સંદર્ભે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કુપોષણને ડામવા અને તેનું પ્રમાણ ઘટાડવા માટે તાજેતરમાં ચિંતન શિબીરમાં પણ મંથન કરવામાં આવ્યું હતુ. જેનો રોડમેપ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન બાળમૃત્યુ દર ન્યુનતમ કરવા માટે રાજ્યમાં SNCU(special new born care units)ની સંખ્યા વધારીને સારસંભાળને વધું ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ૧૧ મી જુલાઇ ૨૦૨૩ થી પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત અપાતી રૂ. ૫ લાખના વીમા કવચની રકમ રૂ.૧૦ લાખ થવાની છે ત્યારે આ યોજનામાં પ્રવર્તમાન સ્થિતિ, એમ્પેનલ હોસ્પિટલ સંર્ભે પણ વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કૉલેજને નજીકના સી.એચ.સી. સેન્ટર સાથે જોડીને આરોગ્ય સેવા, સુવિધાઓને સુદ્રઢ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.