૧૦ દિવસ જિંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ અંતે નીતાબહેન બારૈયા બ્રેઇનડેડ થયા
ભાવનગરના તળાજા તાલુકાનો બારૈયા પરિવાર સમાજમાં ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યો છે. પરિવારની માતાએ અંગદાન કરીને ૪ જિંદગી બચાવી તો પુત્રએ અંગદાન કરાવડાવનો કઠોર તેમજ ઉત્તમ નિર્ણય કરી લોકોને અખૂટ પ્રેરણા આપી. ૧૦મી જુલાઇએ બારૈયા પરિવારના ગૃહિણી 39 વર્ષીય નીતાબહેનને બ્રેઇનહેમરેજ થયું. તેમને સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા લાવવામાં આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત ૧૦ દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ ૨૦મી જુલાઇની રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. ૨૦મી જુલાઇની રાત સમગ્ર હોસ્પિટલ માટે એક ભાવુક રાત બની રહી.
વૃધ્ધ માતા-પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરનાર શ્રવણનો કિસ્સો તો બધાયે સાંભળ્યો હશે, પરંતુ નીતાબહેનના એકના એક પુત્ર મીલન એ કળયુગના શ્રવણ બનીને કદાચિત સેવાભાવી માતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી છે. સિવિલ હોસ્પિટલમાં ૧૦ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થયેલ નીતાબહેનના અંગોના દાનનો નિર્ણય ખુદ તેમના દિકરાએ કર્યો. અંગદાન પાછળ મીલનનો આશય ફક્ત એક જ હતો કે માતા એ ખુબ જ વ્હાલ અને પ્રેમપૂર્ણ મને ઉછેર્યો. સેવાભાવ અને જનકલ્યાણના કાર્યો સાથે માનવતાની શીખ આપી. અને જ્યારે તેઓ આ દુનિયામાંથી વિદાય લઇ રહ્યા છે ત્યારે અન્યોના શરીરમાં તેમનું હ્રદય ધબકે. કિડની અને લીવરની પીડામાંથી પસાર થતા જરૂરિયાતમંદને લીવર અને કિડની મળે. તેવા ઉમદા ભાવ સાથે ભાવનગરના આ શ્રવણ પુત્ર એ બ્રેઇનડેડ માતા નીતાબહેનના અંગોનું દાન કર્યું.
સિવિલ હોસ્પિટલના તબીબોને હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા પણ મળી. જેને જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કરી દેવામાં આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૨ અંગદાન થયા, પરંતુ ૧૦ દિવસ જિંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ બ્રેઇનડેડ થયેલ માતાના યુવાન પુત્ર એ શ્રવણ બનીને અંગદાન કર્યાની આ પ્રથમ ઘટના છે. જ્યારે તેમના પુત્રએ અંગદાનનો નિર્ણય કર્યો ત્યારે એ ક્ષણ સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ભાવુક બની રહી હતી. આમ તો અત્યારસુધી કુલ ૩૪ હ્રદયદાન થયા છે પરંતુ નીતાબેનના પુત્ર દ્વારા કરાયેલ દાન ખરા અર્થમ હ્રદયપૂર્વકનું દાન હતું.