દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દેતા હવે તે કાયદો બન્યું છે અને અધિકારીઓની ટ્રાસ્ફર અને બદલીની સરકારને સત્તા મળી છે.
દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. હવે દિલ્હીમાં કાયદો બની ગયો છે. ભારત સરકારના નોટિફિકેશનમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ( એમેન્ડમેન્ટ ) એક્ટ ૨૦૨૩ ના અમલ અંગે માહિતી આપવામાં આવી છે. નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ( સુધારા ) બિલ, ૧, ૨૦૨૩ ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં રજૂ કર્યું હતું. આ કાયદો રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ અંગેના વટહુકમની જગ્યા લેશે.
લેફ્ટનન્ટ ગવર્નરને મળી તમામ સત્તાઓ
નોટિફિકેશન આ કાયદાને ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ( એમેન્ડમેન્ટ ) એક્ટ, ૨૦૨૩ કહેવામાં આવશે.” તેને ૧૯ મે ૨૦૨૩ થી લાગુ માનવામાં આવશે. ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી એક્ટ, ૧૯૯૧ ની કલમ ૨ ( હવેથી મૂળ કાયદા તરીકે ઓળખાય છે ) માં ખંડ ( ઇ )માં કેટલીક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘લેફ્ટનન્ટ ગવર્નર’ એટલે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી માટે બંધારણની કલમ ૨૩૯ હેઠળ નિયુક્ત વહીવટકર્તા અને રાષ્ટ્રપતિ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
- રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદો બની ગયો. આ વટહુકમ અગાઉ મે મહિનામાં જાહેર કરવામાં આવ્યો હતો. જો કે બિલમાં કલમ ૩ એ હટાવી દેવામાં આવી છે. કલમ ૩ એ વટહુકમમાં હતી. આ વિભાગ કહેતો હતો કે સેવાઓ પર દિલ્હી વિધાનસભાનું કોઈ નિયંત્રણ નથી. આ કલમે ઉપરાજ્યપાલને વધુ સત્તા આપી હતી.
- આ બિલમાં એક જોગવાઈ ‘નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી’ની રચના સાથે સંબંધિત છે. આ ઓથોરિટી અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ અને કંટ્રોલ સાથે જોડાયેલા નિર્ણયો લેશે. ઓથોરિટીના ચેરમેન મુખ્યમંત્રી હશે. તેમના સિવાય તેમાં મુખ્ય સચિવ અને અગ્ર સચિવ ( ગૃહ ) પણ હશે. આ ઓથોરિટી જમીન, પોલીસ અને જાહેર વ્યવસ્થા સિવાયની અન્ય બાબતો સાથે સંબંધિત અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની ભલામણ કરશે. આ ભલામણ ઉપરાજ્યપાલને કરવામાં આવશે. એટલું જ નહીં જો કોઇ અધિકારી સામે કોઇ શિસ્તભંગના પગલાં ભરવાના હોય તો આ ઓથોરિટી તેની ભલામણ પણ કરશે. ઓથોરિટીની ભલામણ પર અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ લેશે. જો કોઇ મતભેદ હશે તો અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ કરશે.