ચંદ્ર પર ઉતરવાની તૈયારી કરી રહેલા ચંદ્રયાન-૩ ચંદ્રયાન-૨ ના ઓર્બિટરના સંપર્કમાં આવ્યું હતું અને તેણે તેનું સ્વાગત કર્યું હોવાની માહિતી ઈસરોએ જાહેર કરી છે.
ભારતનું મિશન મૂન સફળતાની રાહે આગળ વધી રહ્યું છે. પ્રત્યેક ક્ષણે ચંદ્રથી ચંદ્રયાન-3નું અંતર ઘટી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-૩ ને લઈને મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-૨ ના ઓર્બિટરે ચંદ્રયાન-૩ વચ્ચે સફળતાપૂર્વક સંપર્ક સ્થાપિત કર્યો છે. ચંદ્રયાન-૨ ના ઓર્બિટરે ચંદ્રયાન-૩ નું સ્વાગત કર્યું છે અને બન્ને વચ્ચે વાતચીત પણ થઈ હતી. ૨૧ ઓગસ્ટના દિવસે ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્ર તરફ આગળ વધી રહેલા ચંદ્રયાન-૩ એ ચંદ્રયાન-૨ ના ઓર્બિટર સાથે સફળતાપૂર્વક સંબંધ સ્થાપિત કરી લીધો છે.
ઈસરોના વૈજ્ઞાનિકોને પૂરો વિશ્વાસ છે કે ભલે ગમે તે થઈ જાય પરંતુ આ વખતે ચંદ્રયાન-૩ ચંદ્ર પર ઉતરીને જ રહેશે. ચંદ્રયાન-૨ અને ૩ ના લોન્ચિંગ વખતે ઈસરોના સહયોગી રહી ચૂકેલા પહેલા ઈસરો ચીફ એસ સોમનાથ અને ત્યારબાદ એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીનો પણ દાવો છે કે ચંદ્રયાન-૨ ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા છે અને વ્હીકલ-૩ ને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે સફળતાપૂર્વક લેન્ડ કરશે.
ઈસરોએ ૨૧ ઓગસ્ટે ચંદ્રયાન-૩ ના લેન્ડિંગ અંગે લેટેસ્ટ અપડેટ પણ જાહેર કરી છે. ૨૩ ઓગસ્ટે સાંજે ૦૬:૦૪ વાગ્યે લેન્ડિંગનો સમય રાખવામાં આવ્યો છે. આ સમયે, ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ પર કરવાનો પ્રયાસ કરશે. ઈસરોએ માહિતી આપી કે સાંજે ૦૫:૨૦ વાગ્યાથી લેન્ડીંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.