બિહાર રાજ્યમાં ૧૩ કરોડથી વધુ લોકોની વસતી
બિહારમાં નીતિશકુમારની સરકારે જાતીય આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, નીતીશ સરકારના આ પગલાને કારણે ઘણા રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવી પડી શકે છે. સરકારી અહેવાલ મુજબ, બિહારમાં વસ્તી ૩૬ % અત્યંત પછાત, ૨૭ % પછાત વર્ગ, ૧૯ % થી થોડી વધુ અનુસૂચિત જાતિ અને ૧.૬૮ % અનુસૂચિત જનજાતિના લોકો રહે છે.
સરકારે જાતીય આધારિત વસતી ગણતરી પૂર્ણ કરી છે. મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ તેનો રિપોર્ટ જાહેર કર્યો. બિહાર સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં જાતી આધારિત વસ્તીગણતરીમાં ૧૩ કરોડથી વધુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાતિ આધારિત ગણતરીમાં કુલ વસ્તી ૧૩ કરોડ ૭ લાખ ૨૫ હજાર ૩૧૦ જણાવવામાં આવી છે.
બિહાર સરકાર વતી વિકાસ કમિશનર વિવેક સિંહે પત્રકાર પરિષદ યોજી હતી. તેઓ રાજ્યમાં મુખ્ય સચિવનો હવાલો સંભાળે છે. તેમણે કહ્યું કે, બિહારમાં ઉચ્ચ જાતિઓની સંખ્યા ૧૫.૫૨ %, ભૂમિહારની વસ્તી ૨.૮૬ %, બ્રાહ્મણની વસ્તી ૩.૬૬ %, કુર્મીની વસ્તી ૨.૮૭ %, મુસહરની વસ્તી ૩ %, યાદવની વસ્તી ૧૪ % અને રાજપૂતની વસ્તી ૩.૪૫ % છે.
બાજુ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે આજે ગાંધી જયંતિ પર આ ઐતિહાસિક ક્ષણના અમે સાક્ષી બન્યા છીએ. ભાજપે અનેક કાવતરાં, કાનૂની અવરોધ અને તમામ ષડયંત્ર કર્યા છતાં આજે બિહાર સરકારે જાતિ આધારિત સરવે જાહેર કરી દીધો. આ આંકડા વંચિતો, ઉપેક્ષિતો અને ગરીબોના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે સમગ્ર યોજના બનાવવા તથા હાંસિયામાં ધકેલાયેલા સમૂહોની વસતીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં દેશ માટે ઉદાહરણ પૂરું પાડશે. સરકારે હવે સુનિશ્ચિત કરવું જોઈએ કે જેની જેટલી વસતી તેની તેટલી ભાગીદારી. કેન્દ્રમાં જ્યારે ૨૦૨૪ માં અમારી સરકાર બનશે તો અમે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું.