ભારત-શ્રીલંકા મેચ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.
૨ નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મહત્વની મેચ છે. મેચના એક દિવસ પહેલા ક્રિકેટના ભગવાન ગણાતાં સચિન તેંડુલકરની પ્રતિમા ખુલ્લી મૂકાઈ છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)એ વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.
સચિન તેંડુલકરની પ્રતિમાનો આ ઉદ્ઘાટન કાર્યક્રમ એક દિવસ પહેલા એટલે કે બુધવારે (૧ ઓક્ટોબર) સાંજે કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા તેમના જીવનના ૫૦ વર્ષને સમર્પિત છે. સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો ૫૦ મો જન્મદિવસ ઉજવ્યો હતો.
સચિને આ મેદાન પર પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે ૨૦૦ મી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી, જેમાં સચિને ૭૪ રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઈનિંગ અને ૧૨૬ રનથી જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે પણ ખાસ છે, કારણ કે અહીં જ ભારતીય ટીમે પોતાનો બીજો વર્લ્ડ કપ જીત્યો હતો. ૨૦૧૧ ના વન-ડે વર્લ્ડકપની ફાઈનલ વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી. તે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો અને સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન પણ પૂર્ણ થયું હતું.
સચિન બીજો ભારતીય ક્રિકેટર છે જેની પ્રતિમા વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત છે. પ્રથમ દિગ્ગજ ક્રિકેટર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કર્નલ સી.કે.નાયડુ છે. તેમની પાસે ત્રણ જુદા જુદા સ્થળો – ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ, નાગપુરનું વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (વીસીએ) સ્ટેડિયમ અને આંધ્રપ્રદેશનું વાયએસઆર સ્ટેડિયમ ખાતે મૂર્તિઓ છે.