ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચાયા બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો, ગુજરાત ભાજપની કોર ટીમમાં છ મોટી જગ્યાઓ ખાલી, બેઠક બાદ રાજ્યમાં ફરી એકવાર કઈંક નવા-જૂનીના એંધાણ.
ગુજરાતનું રાજકારણ: રાજ્યમાં ફરી એકવાર કઈંક નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠક પૂર્ણ કરીને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. જોકે પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને ભૂપેન્દ્ર પટેલ ૩ કલાક ચાલેલી આ બેઠક બાદ હવે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગઈકાલે દિલ્હીમાં મેરેથોન બેઠક મળી હતી. આ તરફ ૩ કલાક ચાલેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિને લઈ ચર્ચાની અટકળો છે તો ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ સાથે વાયબ્રન્ટ ગુજરાતને લઈ બેઠકમાં ચર્ચા થઈ તો ગુજરાતમાં બાકી બોર્ડ નિગમની નિમણુંકો બાબતે પણ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા અનેક સવાલોના જવાબ મળી શકે તેવી ચર્ચા છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ની તૈયારીઓ અંગે પીએમ મોદીને માહિતી આપી હતી, ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદી અને સીએમ ની લાંબી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે. સરકાર અને સંગઠનના મોરચે મોટા ફેરબદલ થઈ શકે છે.
સંગઠનમાં જગ્યાઓ ખાલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની આ મુલાકાત લગભગ સાડા ૩ કલાક સુધી ચાલી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ બેઠકમાં સરકારની કામગીરી અને ૨૦૨૪ ની ચૂંટણી પહેલા સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપની કોર ટીમમાં છ મોટી જગ્યાઓ ખાલી છે. જેમાંથી બે પદ રાજ્ય મહામંત્રીઓની છે. ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ જગ્યાઓ ખાલી પડી છે.