બિલકિસ બાનો દુષ્કર્મ કેસમાં સજાથી મુક્તિ આપવાના નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે ફેરવી નાખ્યો છે.
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતાં ગુજરાત સરકારના નિર્ણયને પલટી નાખ્યો છે. બિલકિસ બાનો દુષ્કર્મ કેસમાં સજાથી મુક્તિ આપવાના નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે ફેરવી નાખ્યો છે અને દોષિતોની મુક્તિને રદ કરી દીધી છે.
ઓગસ્ટ, ૨૦૨૨ માં ગુજરાત સરકારે બિલકિસ બાનો દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ ૧૧ દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે ૧૨ ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત ૧૧ દિવસ સુધી સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારોએ ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોને માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે પાત્ર બન્યો.