મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારનાં રોજ શિંદે અને ઉદ્ધવ જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પોતાનો નિર્ણય જણાવતા કહ્યું કે શિંદે જૂથ જ સાચી શિવસેના છે.
વિધાનસભા અધ્યક્ષે નિર્ણય જણાવતા કહ્યું, “૨૧ જૂન, ૨૦૨૨ નાં રોજ જ્યારે બે વિરોધી જૂથો બન્યાં ત્યારે શિંદ જૂથ જ સાચો શિવસેના રાજનૈતિક પક્ષ હતો. ૨૧ જૂન ૨૦૨૨ નાં રોજ શિવસેનામાં ભંગાણ પડ્યું. એ તારીખ પછી દંડક સુનિલ પ્રભુએ આપેલાં વ્હિપ લાગુ પડતાં નથી, તેથી દંડક તરીકે ભરત ગોગવાલેની નિયુક્તિ સાચી છે.”
સ્પીકરે એ પણ સ્પષ્ટતા કરીકે શિવસેનાનાં બન્ને જૂથમાંથી કોઈપણ વિધાયકને અયોગ્ય જાહેર કરવામાં નથી આવ્યા.
રાહુલ નાર્વેકરનાં નિર્ણય પછી ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા કહ્યું કે સ્પીકરે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી.
ઠાકરેએ કહ્યું, “આ દેશમાં લોકતંત્ર રહેશે કે નહીં? આ લોકોનું માનવું છે કે નહીં રહે. હવે આ લોકો સુપ્રીમ કોર્ટ સાથે પણ તે જ કરી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે આ પક્ષપલટાના કાયદાને મજબૂત કરવાનો મોકો હતો, પરંતુ એવું થઈ ન શક્યું.
ઠાકરેએ કહ્યું કે તે લોકોના સથવારે લઈને પોતાની લડાઈ લડશે. ઠાકરે જૂથે ઉમેર્યું કે તે સ્પીકરનાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
જોકે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે હવે સ્પષ્ટ છે કે તેમનો પક્ષ જ સાચી શિવસેના છે.
સ્પીકરે શું નિર્ણય આપ્યો?

નાર્વેકરે પહેલા કહ્યું હતું કે અરજીકર્તાઓની એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માંગણી યોગ્ય નથી કારણ કે પક્ષના દંડક સુનિલ પ્રભુના વ્હિપ લાગુ નથી.
તેમણે કહ્યું, “ઉદ્ધવ ઠાકરેનો ૨૦૨૨ માં એકનાથ શિંદેને પક્ષમાંથી બહાર કરવાનો નિર્ણય ખોટો હતો કારણ કે ઉદ્ધવ ઠાકરે પાસે તેનો સંવૈધાનિક અધિકાર નથી.”
નાર્વેકરે આ નિર્ણય શિવસેના પક્ષના ૧૯૯૯ ના સંવિધાનનાં આધારે લીધો છે.
સ્પીકરે કહ્યું, “ચૂંટણી પંચ પાસે પક્ષનું વર્ષ ૧૯૯૯ નું સંવિધાન જ છે અને વર્ષ ૨૦૧૮ નું સંશોધન કરેલ સંવિધાન નથી. આ માટે નિર્ણય ૧૯૯૯ ના સંવિધાન મુજબ જ થશે.”
તેમણે ઉમેર્યું કે શિવસેના પક્ષના ૧૯૯૯ ના સંવિધાન મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સભ્યો શિવસેનાનું નેતૃત્વ કરશે. જો કે ૨૦૧૮ નું સંવિધાન કહે છે કે પક્ષ પ્રમુખનો નિર્ણય જ પક્ષનો અંતિમ નિર્ણય રહેશે.
પક્ષનાં ૨૦૧૮ ના સંવિધાનને અમાન્ય ગણવામાં આવ્યું છે, તેથી શિવસેનાના પક્ષ પ્રમુખ પાસે કોઈપણ વ્યક્તિને પક્ષમાંથી બહાર કરવાનો અધિકાર નથી.
રાહુલ નાર્વેકરે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતા કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદેને પક્ષમાંથી બહાર કાઢવાનો નિર્ણય સ્વીકાર્ય નથી.
આ નિર્ણયથી શિંદે જૂથનાં ૧૬ વિધાયકોને રાહત મળી છે, જ્યારે ઉદ્વવ ઠાકરે જૂથને ઝટકો લાગ્યો છે.
શિવસેના ખતમ નહીં થાય, અમે સુપ્રીમ કોર્ટ જઈશું

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષનાં નિર્ણય પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું કે આ ભાજપનું ષડ્યંત્ર હતું.
તેમણે કહ્યું, “આ તેમનું સપનું હતું કે એક દિવસ આપણે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને ખતમ કરી નાખીશું પરંતુ શિવસેના આ નિર્ણયથી ખતમ નહીં થાય, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.”
શિવસેના ઉદ્વવ ઠાકરે જૂથની રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે સ્પીકરનાં નિર્ણયથી તેમને કોઈ આશ્ચર્ય નથી થયું. તેમણે કહ્યું કે આ નિર્ણય આઠ મહિના પહેલાના સુપ્રીમ કોર્ટનાં આદેશની વિરુદ્ધ છે.
તેમણે કહ્યું, “બાળપણથી અમે સાંભળતા આવ્યા છીએ કે જે કાંઈપણ થાય છે તે ઇશ્વરની મંજૂરીથી જ થાય છેે. આપણો દેશ એક લોકતાંત્રિક દેશ છે એટલે અહીં જે પણ થાય છે તે સંવિધાન અનુસાર થાય છે. જો કે ૨૦૧૪ પછી એક નવી પરંપરા શરૂ થઈ છે, જેમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીને જે મંજૂર હોય તે જ થાય છે.”
શિંદેએ કહ્યું કે ગિરવી રાખેલાં ધનુષ-બાણ છોડાવી લીધાં

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ સ્પીકરનાં નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે હવે બાળાસાહેબનું ચૂંટણી ચિહ્ન તેમનું થઈ ગયું છે.
સ્પીકરનો નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કરી દીધું હતું.
મુખ્ય મંત્રી એકનાથ શિંદે વિધાનસભ્યોની અયોગ્યતાની સુનાવણી પહેલાં હિંગોલીમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, “છેલ્લાં દોઢ વર્ષથી લોકો બાળાસાહેબની શિવસેના સાથે જોડાઈ રહ્યાં છે. જો મેં કશું ખોટું કર્યું હોત તો તમે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત હોત? આપણે ગિરવી રાખેલાં ધનુષ-બાણ છોડાવી લીધાં છે. બાળાસાહેબ અને ધર્મવીર આનંદ દિઘેનાં આશીર્વાદ આપણી સાથે છે.”