પીએમ નરેન્દ્ર મોદી વિશે કહી આવી વાત.
પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પોતાની ચર્ચિત રથયાત્રાને યાદ કરતા કહ્યું કે જ્યારે રથયાત્રા શરૂ થઇ ત્યારે કોઇને ખબર ન હતી કે આ એક જન આંદોલન બની જશે.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. અડવાણીએ તેને દૈવી સ્વપ્નની પરિપૂર્ણતા ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ અયોધ્યા પહોંચવા અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને જોવા માટે ઉત્સુક છે. તેમણે આ ક્ષણ લાવવા, ભવ્ય મંદિરનું નિર્માણ કરવા અને પ્રતિજ્ઞા પૂર્ણ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પણ આપ્યા હતા.
સાહિત્યિક પત્રિકા રાષ્ટ્રધર્મએ લાલકૃષ્ણ અડવાણી સાથે રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ખાસ વાતચીત કરી હતી. આ લેખ ૧૫ જાન્યુઆરીએ મેગેઝિનમાં પ્રકાશિત થશે. ઇન્ટરવ્યૂમાં અડવાણીએ કહ્યું છે કે મોદીને ભગવાન રામે પસંદ કર્યા છે, તેઓ માત્ર સારથી હતા. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે તેમને શરૂઆતમાં જ એ સમજાઇ ગયું હતું કે તેઓ રામ આંદોલનમાં માત્ર સારથી હતા.
અડવાણીએ પોતાની ચર્ચિત રથયાત્રાને યાદ કરતા કહ્યું કે જ્યારે રથયાત્રા શરૂ થઇ ત્યારે કોઇને ખબર ન હતી કે આ એક જન આંદોલન બની જશે. અડવાણીએ તે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભજવેલી ભૂમિકાને પણ યાદ કરી હતી. તેમનું માનવું છે કે મોદી તે સમયે તેમના માત્ર સહાયક હતા. તે સમયે તેઓ બહુ લોકપ્રિય ન હતા, પરંતુ લાગે છે કે રામે પોતાના અનન્ય ભક્તને તે જ સમયે મંદિરના જીર્ણોદ્ધાર માટે પસંદગી કરી લીધી હતી.
અડવાણીએ રથયાત્રાની વધતી જતી લોકપ્રિયતાનો ઉલ્લેખ તો કર્યો જ સાથે-સાથે જે તેમણે તે લોકોની જનઆકાંક્ષાઓ વિશે પણ જણાવ્યું, જે જબરજસ્તીથી પોતાની આસ્થાને દબાવી બેઠા હતા. એક પ્રસંગ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે રથયાત્રા જ્યારે સુદુર ગામ પહોંચ્યા, એક ગ્રામીણ ભાવુક થઈ ગયો અને તેણે જોરજોરથી રામનો જયજયકાર કર્યો હતો. આ સંદેશ હતો કે બધા ભગવાન રામનું મંદિર બને તેવું ઇચ્છતા હતા, બસ પોતાની ઇચ્છાઓને દબાવી દીધી હતી.