કોવિશીલ્ડનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

તપાસ સમિતિ બનાવવા માંગ..

યુકેની ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનેકા  લંડન હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે તેની કોવિડ વેક્સીનને કારણે ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં લોહીના ગંઠાવાની સમસ્યા થઇ શકે છે, એસ્ટ્રાઝેનેકાના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભારતમાં આ વેક્સીનનું વેચાણ કોવિશિલ્ડ  નામથી કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલો ભારતની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કોવિશિલ્ડ રસીની આડઅસરોની તપાસ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

અરજદારે કોવિશિલ્ડ વેક્સીનની આડઅસરોની તપાસ કરવા માટે AIIMSના ડાયરેક્ટરની આગેવાની હેઠળ તબીબી નિષ્ણાતોની પેનલ બનાવવાના સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે, આ પેનલ નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસ કરે એવી પણ માંગ કરવામાં આવી છે. વિશાલ તિવારી નામના અરજદારે આ અરજી દાખલ કરી છે. વિશાલ તિવારી વ્યવસાયે વકીલ છે.

એડવોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કોવિડ -૧૯ પાનડેમિક દરમિયાન વેક્સિનેશન અભિયાનના પરિણામે જેને ગંભીર અસરો થઇ છે એવા નાગરિકો માટે અને જેઓ મૃત્યું પામ્યા છે તેમના પરિવારજનોને વળતર ચુકવવા ‘વેક્સીન ડેમેજ પેમેન્ટ સિસ્ટમ’ સ્થાપિત કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ અરજી ૨૦૨૧ની પેન્ડિંગ પીઆઈએલ હેઠળ દાખલ કરવામાં આવી છે.

અરજદારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ વેક્સિનેશન અભિયાન દરમિયાન સરકારે સુરક્ષાની ખાતરી આપ્યા બાદ નાગરિકોને મોટી સંખ્યામાં કોવિશિલ્ડ રસીઓ આપવામાં આવી હતી.

અરજીમમાં જણાવવામાં આવ્યું કે “કોવિડ -૧૯ પછી, હાર્ટ એટેકને કારણે મૃત્યુના કેસોમાં વધારો થયો છે. યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસોની સંખ્યા વધી છે. હવે યુકેની કોર્ટમાં કોવિશિલ્ડના ડેવલપર દ્વારા ડોક્યુમેન્ટ દાખલ કરવામાં આવ્યા પછી, આપણે પણ રસીના જોખમ અને જોખમી પરિણામો વિશે વિચારવાની ફરજ ઉભી થઇ છે, આ રસી મોટી સંખ્યામાં નાગરિકોને આપવામાં આવી છે. સરકારે તેના માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ભારતીય નાગરિકોની સલામતી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ મુદ્દાને પ્રાધાન્ય આપવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં ભારતીય નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવનને લઈને કોઈ જોખમ ન સર્જાય.”

ફાર્માસ્યુટિકલ કંપની અને વેક્સીનના ડેવલપર એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં જણાવ્યું છે કે કોવિડ-૧૯ સામેની તેની AZD૧૨૨૨ રસી (જે ભારતમાં Covishield તરીકે લાયસન્સ હેઠળ બનાવવામાં આવી હતી) ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં પ્લેટલેટની ઓછી સંખ્યા અને લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે.

પુણે સ્થિત વેક્સીન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ એસ્ટ્રાઝેનેકાની રસી ફોર્મ્યુલાનું લાઇસન્સ લીધું હતું. SII આ રસીનું ઉત્પાદન અને વેચાણ કોવિશિલ્ડ નામથી કરી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *