અરવિંદ કેજરીવાલને જામીન અરજી પર કોર્ટમાં રાહત ન મળી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરેન્ડર કરવાની ડેડલાઈનથી ફક્ત ૩ દિવસ પહેલા ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આપના સંયોજકની અરજી પર કોર્ટે ૦૨:૦૦ વાગ્યે સુનાવણી કરી હતી પરંતુ તેમાં તેમને કોઈ રાહત ન અપાઇ. હવે આ મામલે ૧ જૂને બપોરે ૦૨:૦૦ વાગ્યે સુનાવણી હાથ ધરાશે.
કોર્ટે ઈડીને નોટિસ જારી કરી હતી. ઈડીએ કેજરીવાલની જામીનનો વિરોધ કર્યો છે. ઈડી તરફથી હાજર વકીલ એસ.વી. રાજૂએ કહ્યું કે કેજરીવાલ દરેક જગ્યાએ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અનેક જગ્યાએ જઈને તે રેલી સંબોધી રહ્યા છે અને પછી તેઓ મેડિકલ ગ્રાઉન્ડના આધારે જામીન માગે છે. આ મામલે કોર્ટે ધ્યાન આપવાની જરૂર છે.
માહિતી અનુસાર અગાઉ સુપ્રીમકોર્ટની વેકેશનલ બેન્ચે મંગળવારે કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી અને તેમાં ૭ દિવસનો વધારો કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ સાથે તેમને ૨ જૂને ફરી સરેન્ડર કરી દેવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.