પીએમ મોદીની જીતનું માર્જિન ઘટ્યું.
વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની NDAને ભારે પડકારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં દેશની હોટ સીટ કહેવાતી વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉભેલા કોંગ્રેસના અજય રાયે પણ જોરદાર ટક્કર આપી હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીના વલણો મુજબ વડાપ્રધાન મોદીની જીતવાની પુરેપુરી સંભાવના દેખાઈ રહી છે, જોકે સૌથી મોટી વાત એ છે કે, તેમને મળેલા મતોનું અંતર ગત ચૂંટણી કરતા ઘણું ઓછું છે.
વડાપ્રધાન મોદી ૩૦૧૯માં ૪.૮૦ લાખ મતોના અંતરથી જીત્યા હતા
વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ૬,૭૪,૬૬૪ મતો મેળવ્યા હતા. તેમની સામે ઉભેલા સમાજવાદી પાર્ટીની ઉમેદવાર શાલિની યાદવને બે લાખ મતો અને કોંગ્રેસના અજય રાયને લગભગ દોઢ લાખ મતો મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૪.૮૦ લાખ મતોના અંતરથી જીત્યા હતા.
વારાણીસ બેઠક પર પાંચ વાગ્યા સુધીમાં ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મોદી ને ૬,૧૧,૪૩૯ મતો અને કોંગ્રેસના ઉમેદવાર અજય રાય ને ૫,૫૯,૦૮૪ મતો મળી ચુક્યા છે. એટલે કે વડાપ્રધાન લગભગ દોઢ લાખ મતથી આગળ છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં બસપાના અતહર જમાલ લારી ને ૩૩,૬૪૬ મતો, યુગ તુલસી પાર્ટીના ઉમેદવાર કુલશેટ્ટી શિવકુમારને ૫,૭૪૮ મતો, અપના દળના ઉમેદવાર ગગન પ્રકાશ યાદવને ૩૬૧૯ મતો મળ્યા છે. અપક્ષમાં ચૂંટણી લડનાર બે ઉમેદવારો દિનેશ કુમાર યાદવને ૨૯૧૨ મતો અને સંજય કુમાર તિવારીને ૨૧૭૦ મતો મળી ચુક્યા છે.
વારાણસી લોકસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્રનો મુકાબલો કરવા કોંગ્રેસના અજય રાય અને બસપાના અતર જમાલ લારી ઉભા છે. આ ઉપરાંત અપના દળ(કે)ના ગગન પ્રકાશ યાદવ અને યુગ તુલસી પાર્ટીના કોલીશેટ્ટી શિવ કુમાર પણ વારાણસીના મેદાનમાં છે. બે અપક્ષ ઉમેદવાર દિનેશ યાદવ અને સંજય કુમાર તિવારી પણ વડાપ્રધાન વિરુદ્ધ ઉભા છે.
વારાણસીની ચૂંટણીમાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. આ હોટ લોકસભા બેઠક માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ વારંવાર શહેરની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ વારાણસીની સતત મુલાકાતે આવતા હતા. મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ વારાણસીમાં મોરચો સંભાળ્યો હતો.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગભગ ૬૩.૬૨ % મત મળ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીને ૧૮ % અને કોંગ્રેસને ૧૪ % મત મળ્યા હતા.
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ મોટા અંતરથી જીત મેળવી હતી. તે વખતે નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી પ્રથમવાર લોકસભા ચૂંટણી લડી હતી. તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને ૩.૭૨ લાખ મતોથી હરાવ્યા હતા.