લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામ આવી ગયા છે. તેના બાદથી અત્યાર સુધી સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. ભાજપને બહુમતી નથી મળી એટલા માટે એનડીએ ગઠબંધન હેઠળ ફરી એકવાર વડાપ્રધાન પદે મોદી બિરાજિત થવાની તૈયારી કરી રહ્યા છે. આ કડીમાં જ સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે. તેઓ આજે બેઠક બાદ સરકાર રચવા માટે દાવો કરી શકે છે. તેમને એનડીએ દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવી શકે છે.
એનડીએની બેઠકમાં બિહારથી જેડીયુ લીડર તરીકે નીતીશ કુમાર અને આંધ્રપ્રદેશથી ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. હાલમાં આ બંને કિંગમેકરની ભૂમિકામાં છે. આ બેઠકમાં એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી જેવા અન્ય એનડીએ સહયોગીઓએ પણ હાજરી આપી હતી.
સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ નરેન્દ્ર મોદીનું સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરવા બદલ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સભામાં ‘ત્રીજી વખત મોદી સરકાર’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
રાજનાથ સિંહે એનડીએના નેતા તરીકે પીએમ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો
માહિતી અનુસાર એનડીએની બેઠક દરમિયાન રાજનાથ સિંહે એનડીએના નેતા તરીકે પીએમ મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદી જ યોગ્ય છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશની દશા અને દિશા બદલાઈ છે. એનડીએના પરિવારમાં પણ વધારો થયો છે. રાજનાથ સિંહના પ્રસ્તાવ પર અમિત શાહે અનુમોદન કર્યું હતું. તેમણે પણ કહ્યું કે પીએમ મોદી જ એનડીએના નેતા તરીકે મુખ્ય પસંદગી હોઈ શકે છે. ત્યારબાદ ચર્ચિત નેતા નિતિન ગડકરીએ પણ રાજનાથ સિંહના પ્રસ્તાવનું અનુમોદન કર્યું હતું. તેમણે કહ્યું કે પીએમ તરીકે મોદીએ સમર્થિત ભાવથી કામ કર્યું છે.
કુમારસ્વામીનું પણ સમર્થન
અમિત શાહ, નિતિન ગડકરી બાદ કર્ણાટકમાં એનડીએના સાથી રહેલા જેડીએસના નેતા એચ.ડી.કુમારસ્વામીએ પણ પીએમ મોદીને એનડીએ ગઠબંધનના નેતા તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને બેઠકમાં સમર્થન આપ્યું હતું.
ચંદ્રબાબુએ પણ મોદીને આપ્યું સમર્થન
બેઠકમાં જ ચંદ્રબાબુ નાયડુએ પણ પીએમ મોદીએ એનડીએ ગઠબંધનના નેતા તરીકે ચૂંટવાને મંજૂરી આપતા કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં દેશમાં પરિવર્તન આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં દુનિયામાં દેશનું માન વધ્યું છે.