
સાઉદી અરેબિયામાં હજ કરવા ગયેલા ૧૪ યાત્રીઓ ભારે ગરમીને કારણે મૃત્યુ પામ્યા હતા. જોર્ડનના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે હજ યાત્રા દરમિયાન અન્ય ૧૭ યાત્રાળુઓ ગુમ થયા હતા. જો કે મંત્રાલય આ અંગે સાઉદી અધિકારીઓના સતત સંપર્કમાં છે.
જોર્ડનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “જોર્ડનના ૧૪ હજયાત્રીઓના મોત થયા હતા, જ્યારે હજ યાત્રા દરમિયાન ૧૭ યાત્રાળુઓ ગુમ થયા હતા.” મીડિયા અનુસાર, આત્યંતિક ગરમીને કારણે સ્ટ્રોકનો ભોગ બન્યા બાદ નાગરિકોના મોત થયા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં શ્રદ્ધાળુઓને દફનાવવા અથવા તેમને જોર્ડન ટ્રાન્સફર કરવા માટે સાઉદી અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.
ઈરાને એ પણ અહેવાલ આપ્યો છે કે તેના પાંચ યાત્રાળુઓ હજ યાત્રા દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જો કે, તેણે મૃત્યુના કારણની પુષ્ટિ કરી ન હતી. સાઉદી અરેબિયાએ પણ હજુ સુધી જીવ ગુમાવનારાઓ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. સાઉદી આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અલ-અબ્દુલઅલીએ જણાવ્યું હતું કે રવિવારે ૨,૭૬૦ યાત્રાળુઓને સનસ્ટ્રોક અને હીટસ્ટ્રોકનો ભોગ બન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંખ્યા વધવાની શક્યતા છે. આ સાથે તેમણે યાત્રિકોને બપોરે બહાર ન નીકળવા અપીલ કરી હતી અને પોતાને હાઇડ્રેટેડ રાખવા જણાવ્યું હતું.
સોમવારે મક્કામાં તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન ૨૪૦ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. મૃત્યુનું કારણ બહાર આવ્યું ન હતું. સાઉદીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ગરમી સંબંધિત બીમારીના ૧,૦૦૦ કેસ નોંધાયા હતા, જેમાંથી ૧૦ % હીટ વેવના કેસ હતા.