જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મોટો નિર્ણય લેવાયાં છે.
નાણા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની ૫૩ મી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જીએસટીના નિર્ણયો જાહેર કર્યાં હતા. તેમણે કહ્યું કે ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી પ્લેટફોર્મ ટિકિટ, બેટરી કાર સેવા જેવી સેવાઓને જીએસટી માંથી મુક્તિ આપવામાં આવી છે. જીએસટી છૂટનો અર્થ એવો થાય કે આગામી દિવસોમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટ અને અન્ય સેવાઓ સસ્તી થશે.
જીએસટી કાઉન્સિલે દૂધના તમામ ડબ્બાઓ પર ૧૨ % ના સમાન દરની ભલામણ કરી છે. નાણામંત્રીએ કહ્યું કે કાઉન્સિલે દૂધના તમામ ડબ્બાઓ એટલે કે સ્ટીલ, આયર્ન, એલ્યુમિનિયમ પર ૧૨ % નો એકસમાન દર નક્કી કરવાની ભલામણ કરી છે.
ફાયર વોટર સ્પ્રિંકલર સહિત તમામ પ્રકારના સ્પ્રિંકલર પર ૧૨ % જીએસટી થતાં તે મોંઘી બનશે. જીએસટી કાઉન્સિલે શૈક્ષણિક સંસ્થાઓની બહાર હોસ્ટેલના રૂપમાં પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે દર મહિને વ્યક્તિ દીઠ રૂ. ૨૦,૦૦૦ની છૂટ આપી છે. નાણામંત્રીએ કહ્યું કે બાયોમેટ્રિક આધારિત આધાર ઓથેન્ટિકેશન રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવશે. આ નકલી ઈન્વૉઇસ દ્વારા કરવામાં આવેલા છેતરપિંડી યુક્ત ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ સામે લડવામાં મદદ કરશે. સોલાર કૂકર પર ૧૨ % જીએસટી લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. જીએસટી કાયદાની કલમ ૭૩ હેઠળ જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે ટેક્સ સત્તાવાળાઓના એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટે રૂ. ૨૦ લાખ, હાઇકોર્ટ માટે રૂ. ૧ કરોડ અને સુપ્રીમ કોર્ટ માટે રૂ. ૨ કરોડની મર્યાદાની ભલામણ કરી છે.
ખાતર પર પણ રાહતના સંકેતો
જીએસટી કાઉન્સિલે દરોને તર્કસંગત બનાવવા માટે ખાતરો પર જીએસટી ઘટાડવા માટે જીઓંએમ ને વિનંતી મોકલી છે. હાલમાં તેના પર ૫ % જીએસટી વસૂલવામાં આવે છે અને આ ક્ષેત્ર લાંબા સમયથી ખાતર પર જીએસટીમાંથી મુક્તિની માંગ કરી રહ્યું છે.