શ્રીલંકામાં આવતા મહિને (૧૯-૨૮ જુલાઈ) મહિલાઓની આઠ ટી-૨૦ ટીમ વચ્ચે એશિયા કપ ટૂર્નામેન્ટ રમાશે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. ૧૯મી જુલાઈએ ટૂર્નામેન્ટની બપોરની (૦૨:૦૦ વાગ્યાની) સૌપ્રથમ મૅચ નેપાળ અને યુએઈ વચ્ચે રમાશે અને ત્યાર બાદ સાંજે (૦૭:૦૦ વાગ્યે) ભારત-પાકિસ્તાનનો જંગ શરૂ થશે.
માર્ચમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ પહેલી વાર શેડ્યૂલ જાહેર કર્યું એમાં ભારત-પાકિસ્તાનની મૅચ ૨૧મી જુલાઈએ રમાશે એવું બતાવવામાં આવ્યું હતું. એ સમયપત્રક મુજબ ૧૯ મી જુલાઈની પહેલી મૅચ નેપાળ-પાકિસ્તાન વચ્ચે રમાવાની હતી અને એ જ દિવસે બીજી મૅચ ભારત-યુએઈની હતી. હવે એ બંને મૅચ ૨૧ મી જુલાઈએ રમાશે.
ટૂંકમાં, ભારત-પાકિસ્તાનનો મુકાબલો ૨૧ મી જુલાઈને બદલે વહેલો કરીને ૧૯ મી જુલાઈએ રાખવામાં આવ્યો છે.
તમામ મૅચો શ્રીલંકાના દામ્બુલા શહેરમાં રમાશે.
આ વખતે સાતને બદલે આઠ ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. પાછલી ટૂર્નામેન્ટની એક ટીમ આ વખતે ઉમેરવામાં આવી છે.
આ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, યુએઈનો સમાવેશ છે. ગ્રૂપ-બીમાં યજમાન શ્રીલંકા, બંગલાદેશ, મલેશિયા અને થાઈલેન્ડ છે. બંને ગ્રૂપની મોખરાની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં જશે. ૨૬ મી જુલાઈએ સેમિ ફાઇનલ અને 28 જુલાઈએ ફાઈનલ રમાશે.
ભારતની મહિલા ક્રિકેટરો સાત વખત આ ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે જે વિક્રમ છે. ૨૦૨૨ના એશિયા કપની ફાઇનલમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું હતું. એ લો-સ્કોરિંગ મુકાબલામાં ઓપનર સ્મૃતિ મંધાનાએ ૫૧ રન બનાવ્યા હતા. પેસ બોલર રેણુકા સિંહને ત્રણ વિકેટના તરખાટ બદલ પ્લેયર ઓફ ધ ફાઈનલનો અને દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૨૨ની જેમ આ વખતની ટૂર્નામેન્ટમાં પણ તમામ મહિલા અમ્પાયરો જોવા મળશે. મહિલાઓના આ એશિયા કપ બાદ મહિલા ક્રિકેટરો વચ્ચેનો ટી-૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબરમાં બંગલાદેશમાં રમાશે.