ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા નહીં જાય.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. અહેવાલો અનુસાર, BCCIએ શ્રીલંકા અથવા દુબઈમાં મેચ યોજવાની માંગ કરી છે. નોંધનીય છે કે, ભારતીય સરહદ પર આતંકવાદી ગતિવિધિઓમાં પાકિસ્તાનની સતત સંડોવણીને કારણે પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ બંધ છે. સરહદ પર સમયાંતરે તેના નાપાક ઈરાદાઓ સામે આવે છે, જ્યારે તેના રાજકારણીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરુદ્ધ આગ ભડકાવવાની હિંમત કરતા રહે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નું શેડ્યુલ હજુ જાહેર થયું નથી પણ એક ટેન્ટેટિવ કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ આઈસીસીને તારીખો અને સ્થળ સાથે પ્રસ્તાવિત ફિક્સચરની યાદી મોકલી છે.
શેડ્યૂલ અનુસાર આઠ ટીમોની આ ટુર્નામેન્ટનું આયોજન ત્રણ સ્થળોએ કરવામાં આવશે, જેમાં ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી કરાચી, રાવલપિંડી અને લાહોરમાં મેચો રમાશે. શરૂઆત ૧૯મી ફેબ્રુઆરીએ થશે જ્યારે ફાઈનલ ૯ મી માર્ચે યોજાવાની છે. ૫૦ ઓવરના ફોર્મેટ સાથેની આઈસીસી આ મોટી ઈવેન્ટ ૮ વર્ષ બાદ ફરી યોજાવા જઈ રહી છે.
ODI વર્લ્ડ કપની ટોચની આઠ ટીમોનો સમાવેશ થશે. આઠ ટીમોને ચાર-ચારના બે ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે. યજમાન પાકિસ્તાન કટ્ટર હરીફ ભારત, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ Aમાં છે, જ્યારે ગ્રુપ Bમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.