ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યના ૪૬ જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ ૫૪.૦૬ % જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૪૦,૬૬૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ ૪૨.૯૬ % જળસંગ્રહ નોંધાયો છે.
જળસંપત્તિ વિભાગના અહેવાલ, રાજ્યમાં ભારે વરસાદના દમણ ગંગામાં ૫૧,૭૦૮ ક્યુસેક, ઉકાઈમાં 33,૧૬૮ ક્યુસેક અને હિરણ-૨ માં ૧૫,૭૮૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે રાણા ખીરસરામાં ૧૩,૫૩૦ ક્યુસેક, ભાદર-૨ માં ૧૩,૧૭૨ ક્યુસેક, વેણુ-૨ માં ૧૨,૯૪૩ ક્યુસેક અને સરદાર સરોવરમાં ૧૧,૧૪૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાજ્યના ૨૬ ડેમ ૭૦ %થી ૧૦૦ % ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૩૯ ડેમ ૨૫ થી ૫૦ % ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૦.૦૬ %, કચ્છના ૨૦માં ૪૯.૨૩, દક્ષિણ ગુજરાતના ૧૩ માં ૪૬.૧૬ %, મધ્ય ગુજરાતના ૧૭ માં ૩૫.૧૭ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૯ % પાણીનો સંગ્રહ થયો છે.
આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે ૨૫ મી અને ૨૬ મી જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં ૨૬ જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.