અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા.
સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં આ મામલે આગામી સુનાવણી ૨૩ ઓગસ્ટ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે. પરંતુ એવું ન થયું અને તેમની આશા પર પાણી ફરી વળ્યું.
સુપ્રીમ કોર્ટે ઈડીના કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ જામીન આપી દીધા હતા પરંતુ સીબીઆઈ દ્વારા દાખલ કેસને કારણે તેમણે ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો હતો. કેજરીવાલ પર કથિત લિકર પોલિસીમાં કૌભાંડ આચરવાનો આરોપ છે. સીબીઆઈ અને ઈડી દ્વારા તેમને કથિત કૌભાંડના માસ્ટર માઈન્ડ ગણાવાયા હતા.
સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટમાં કેજરીવાલની તરફેણમાં સિસોદિયાવાળી દલીલો કરાઈ હતી જે સુપ્રીમકોર્ટે સ્વીકારી નહોતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે અમારા અસીલની તરફેણમાં ૩ વખત જામીનના આદેશ આપી દેવાયા છે. તેમાં સેક્શન ૪૫નો કેસ પણ સામેલ છે. આવી તમામ દલીલો પર સુપ્રીમ કોર્ટ સહમત દેખાઈ નહોતી.