કોર્ટે ૨૩ વર્ષ જૂના મામલે આદેશ આપ્યો.
દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ હાલ સુપ્રીમ કોર્ટે આપેલા જામીન પર જેલની બહાર છે, એવામાં તેમની મુશ્કેલીઓ ફરી વધી છે, પરંતુ આ વખતે ૨૩ વર્ષ પહેલાના એકના એક મામલામાં ઉત્તર પ્રદેશની એમપી/એમએલએ એક કોર્ટે સંજય સિંહની ધરપકડના આદેશ આપ્યા છે.
ઉત્તર પ્રદેશની એમપી-એમએલએ કોર્ટે વિરોધ પ્રદર્શન કરવા અને રોડ બ્લોક કરવાના ૨૩ વર્ષ જૂના કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ વિધાનસભ્ય અનુપ સાંડા ઉપરાંત અન્ય ચાર આરોપીઓ સામે જાહેર કરવામાં આવેલા બિનજામીનપાત્ર વોરંટના અમલ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તમામ આરોપીઓ સામે ધરપકડ વોરંટ બહાર પડ્યું છે અને પોલીસને તેમને ૨૮ ઓગસ્ટ સુધીમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.
૧૩ ઓગસ્ટના રોજ સંજયસિંહ, સાન્ડા અને અન્ય ચાર આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું, જેની સુનાવણી ૨૦ ઓગસ્ટના રોજ રાખવામાં આવી હતી, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. સંજય સિંહ અને સાંડાના વકીલ મદન સિંહે જણાવ્યું હતું કે તેમની જામીન અરજી અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ સમક્ષ સબમિટ કરવામાં આવી છે, જેની સુનાવણી ૨૨ ઓગસ્ટે થવાની છે.
આ કેસ ૧૯ જૂન ૨૦૦૧નો છે, લખનઉ નાકા પાસે વીજળી, પાણી અને અન્ય મુદ્દાઓ બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં સંજય સિંહ, અનૂપ સાંડા વગેરે સામેલ હતા. કોતવાલી નગરના ઈન્સ્પેક્ટરે પ્રદર્શન અને રોડ જામ કરવા બાબતે તેમની સામે કેસ નોંધ્યો હતો. એમપી-એમએલએ કોર્ટમાં પોલીસે સાંસદ સંજય સિંહ, પૂર્વ વિધાનસભ્ય અનૂપ સાંડા, પૂર્વ કાઉન્સિલર કમલ શ્રીવાસ્તવ, વર્તમાન નામાંકિત કાઉન્સિલર વિજય, કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંતોષ કુમાર, સુભાષ ચૌધરી અને પ્રેમ પ્રકાશ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.