બિહાર, ઝારખંડ અને ઓડિશામાં સજ્જડ બંધ, રાજસ્થાનના ૧૬ જિલ્લામાં ભારત બંધના લીધે શાળા અને કોલેજમાં રજા, ભરતપુર-જયપુરમાં વ્યાપક અસર, બિહારમાં દેખાવકારો પર પોલીસનો લાઠીચાર્જ થતાં કેટલાક ઇજાગ્રસ્ત અને નવની ધરપકડ કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટે એસસી-એસટીમાં પેટા અનામતનો ચુકાદો આપ્યો તેના વિરોધમાં કેટલાક આદિવાસી અને દલિત સંગઠનોએ ભારત બંધનું આપેલું એલાન ઝારખંડ, બિહાર અને ઓડિશા જેવી મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યોમાં સફળ રહ્યુ હતુ. આ ઉપરાંત દેશના આદિવાસી વિસ્તારોમાં પણ ભારત બંધ સફળ રહ્યો હતો પરંતુ બાકીના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી ન હતી.
ભારત બંધની સૌથી વધુ અસર જોવા મળી હોય તો બિહારમાં જોવા મળી હતી. બિહારમાં પૂર્ણીયા, ખડગરાય, બેગૂસરાય, મુઝફ્ફરપુર, મોતિહારી, બક્સર, પટણા, સમસ્તીપુર, ૌરંગાબાદ અને જહાનાબાદ સહિત ઘણા જિલ્લામાં ભારત બંધની વ્યાપક અસર જોવાઈ હતી.
પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. બિહારમાં જુદા-જુદા સ્થળો રેલ રોકવાની અને રસ્તા રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેના લીધે પોલીસ અને દેખાવકારો વચ્ચે સંઘર્ષ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તેમા કેટલાય દેખાવકારોને ઇજા થઈ છે. પોલીસે કુલ નવ દેખાવકારોની ધરપકડ કરી છે.
ઝારખંડના અને ઓડિશાના કેટલાય જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. ઓડિશામાં પણ ભારત બંધના લીધે રેલ્વે અને માર્ગ પરિવહન સેવાઓ પર અસર પડી હતી. દેખાવકારોએ કેટલાય સ્થળોએ ટ્રેનો અને બસો રોકી હતી અને પ્રવાસીઓને ઉતરીને ચાલવાની ફરજ પાડતા તેઓએ હાલાકી વેઠવી પડી હતી.
ઉત્તરપ્રદેશમાં ભારત બંધ દરમિયાન પ્રદર્શન અને કૂચ યોજવામાં આવી હતી. જુદા-જુદા સંગઠનોએ પોતાના એજન્ડાને લઈને રસ્તા પર સરઘસ કાઢ્યું હોવા છતાં જનજીવન રાબેતા મુજબ ચાલતું રહ્યું હતું.
આ જ રીતે રાજસ્થાનના ૧૬ જિલ્લામાં ભારત બંધના લીધે સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. ભરતપુર અને જયપુર જેવા જિલ્લાઓમાં ખાસ્સી અસર જોવાઈ હતી. કેટલીય યુનિ. અને સ્કૂલોમાં પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ હતી. જો કે બંધ દરમિયાન બધા જ સ્થળોએ સરકારી કામકાજ રોબેતા મુજબ જોવા મળ્યું હતું. તેના પર બંધની કોઈ વિપરીત અસર થઈ ન હતી.