૯૫ હજાર ક્યુસેક પાણી છોડાતા ૨૭ ગામ એલર્ટ કરાયા.
નર્મદા નદીના ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના પગલે તા. ૨૩મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ૯ દરવાજા ૦.૮૦ મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે ડેમમાંથી ૯૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
આ અંગે મામલતદાર ડિઝાસ્ટર નર્મદા-રાજપીપલા તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નદી તળ વિદ્યુત મથક (R.B.P.H)ના 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૯૫,૦૦૦ (૪૫,૦૦૦ + ૫૦,૦૦૦) ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવ્યું છે.
આ સાથે જ અસરગ્રસ્ત કરતા નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી,નવાપુરા, ધમણાચા,ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ ગામોના લોકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.