ચૂંટણી અગાઉ પાંચ ઉમેદવારો જીત્યા બિનહરિફ.
કેન્દ્રીય રાજ્ય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુ રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જીતી ગયા છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુ રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જીતી ગયા છે. મંગળવારે એટલે કે ૨૭મી ઓગસ્ટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. રાજ્યસભાની પેટાચૂંટણીમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી એક ભાજપનો ડમી ઉમેદવાર હતો.
૨૨મી ઓગસ્ટે ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર બબીતા વાધવાનીનું નામાંકન પત્ર રદ કરવામાં આવ્યું હતું. ભાજપના ડમી ઉમેદવાર સુનિલ કોઠારીએ શુક્રવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. આ પછી રવનીત સિંહ બિટ્ટુને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
રાજસ્થાન વિધાનસભાના મુખ્ય સચિવ અને ચૂંટણી અધિકારી મહાવીર પ્રસાદ શર્માએ મંગળવારે બિટ્ટુના અધિકૃત ચૂંટણી એજન્ટ યોગેન્દ્ર સિંહ તંવરને પ્રમાણપત્ર આપ્યું હતું. વિપક્ષ કોંગ્રેસે પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય લીધો હતો.
લોકસભા ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના કેસી વેણુગોપાલે રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ ચૂંટણી થઈ હતી. રાજસ્થાનની આ બેઠક પર સભ્યપદનો કાર્યકાળ ૨૧ જૂન ૨૦૨૬ સુધી રહેશે. રાજસ્થાનમાં રાજ્યસભાની કુલ ૧૦ બેઠકો છે. બિટ્ટુની જીત બાદ હવે ભાજપ અને કોંગ્રેસ પાસે ૫-૫ રાજ્યસભા સભ્યો છે.
હરિયાણામાં કિરણ ચૌધરી, બિહારમાં ઉપેન્દ્ર કુશવાહા, મનન મિશ્રા અને મધ્યપ્રદેશમાંથી બીજેપી નેતા જ્યોર્જ કુરિયન બિનહરીફ ચૂંટણી જીત્યા છે. દરેકને ચૂંટણી પ્રમાણપત્રો મળ્યા છે. નવ રાજ્યોમાં રાજ્યસભાની કુલ ૧૨ બેઠકો પર ૩ સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. આસામ, મહારાષ્ટ્ર અને બિહારમાં ૨-૨ અને હરિયાણા, મધ્યપ્રદેશ, ત્રિપુરા, રાજસ્થાન, ઓડિશા અને તેલંગણામાં ૧-૧ બેઠક પર ચૂંટણી યોજાવાની છે.