બીસીસીઆઈ(BCCI)એ સ્પષ્ટ કરી દીધું છે કે આઈપીએલ 2021 (IPL 2021) માં થર્ડ અમ્પાયરને નિર્ણય મોકલતા પહેલા ગ્રાઉન્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલ આપવાની જરૂર રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રમાયેલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીમાં સોફ્ટ સિગ્નલનો નિયમ ચર્ચામાં રહ્યો હતો.
શું હોય છે સોફ્ટ સિગ્નલ
જ્યારે પણ કોઈ પણ પ્રકારની નજીકના કેચ અથવા જટિલ વિકેટને લઈ પરિસ્થિતિ સ્પષ્ટ નથી થતી, ત્યારે મેદાન પરના અમ્પાયર ત્રીજા અમ્પાયરને ફરીથી તપાસ કરવા કહે છે. જો કે, ત્રીજા અમ્પાયર પહેલાં ઓન-ફીલ્ડ અમ્પાયરે તેના સહયોગી અમ્પાયર સાથે વાતચીત કરીને નિર્ણય લેવો પડશે. તેને સોફ્ટ સિગ્નલ કહે છે. તેના બાદ ટીવી અમ્પાયર (ત્રીજો અમ્પાયર) તેને અલગ અલગ એન્ગલથી જુએ છે અને જ્યારે તેને નક્કર પુરાવા મળે છે, ત્યારે તે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને બદલી દે છે. પરંતુ ઘણીવાર થર્ડ અમ્પાયરને પૂરતા પૂરાવા મળતા નથી. આવી સ્થિતિમાં ટીવી અમ્પાયર મેદાન પરના અમ્પાયરના નિર્ણયને જ સ્વીકારે છે.
શું હતો વિવાદ
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ ( India vs England) વચ્ચે ચોથી ટી -20 માં ટીમ ઈન્ડિયાની (Team India) ઇનિંગ દરમિયાન, જ્યારે સૂર્યકુમાર યાદવ 57 રનમાં બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે સેમ કરનની ઓવરમાં ડેવિડ મલાનના હાથે કેચ થયો હતો. મલાને કેચ આઉટનો દાવો કર્યો હતો. જો કે, કેચ સ્પષ્ટ નહોતો. તેથી મેદાન પરના અમ્પાયરે ત્રીજા અમ્યારની મદદ માંગી હતી. પરંતુ નિયમ પ્રમાણે મેદાન પરના અમ્પાયરે પણ પોતાનો નિર્ણય આપવાનો હોય છે અને અમ્પાયરે પોતાના નિર્ણયમાં સૂર્યકુમારને આઉટ આપ્યો હતો. તેના બાદ જ્યારે થર્ડ અમ્પાયરે ટીવીમાં રિપ્લે જોઈ તો કેચ પકડવાના લઈ નક્કર સ્પષ્ટતા થઈ શકી નહોતી. રિપ્લેમાં જોઈ શકાતું હતું કે, બોલ જમીનને અડી ગયો હતો. તેના બાદ કોહલીએ સવાલ પણ ઉઠાવ્યો હતો.