ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘ઈઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ હાશેમ સફીદીનને મારી નાખ્યો છે. આ સાથે જ લેબેનોનના લોકોને સંદેશો આપ્યો હતો કે, તમારા દેશમાંથી હિઝબુલ્લાહના આતંકવાદીઓને હાંકી કાઢો, નહિ તો ભારે તબાહી થશે.’ વધુમાં નેતન્યાહુએ કહ્યું કે, અમે હિઝબુલ્લાહની શક્તિનો નાશ કર્યો છે. તેના હજારો આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે વર્ષો સુધી આ દેશ ફરીથી ઉભો નહિ થઈ શકે.’
ઈઝરાયલના વડાપ્રધાને લેબેનોનના લોકોને સંબોધતા કહ્યું કે, ‘જો તમે ઈચ્છો તો શાંતિ વાળું લેબેનોન પાછું મેળવી શકો છો. તેને શાંતિ અને સમૃદ્ધિના માર્ગ પર લઈ જઈ શકો છો. જો તમે આવું નહીં કરો તો હિઝબુલ્લાને મારવા માટે અમારે તમારા ઘરો પર ઉતરવું પડશે અને ત્યાં આવીને વીણી-વીણીને મારવા પડશે. હવે શું કરવું એ તમારી પસંદગી છે.’ એક દિવસ પહેલા, ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે હાશેમ સફીદીનના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
લેબેનોન પર હાલ ઈઝરાયલની સેનાના હવાઈ હુમલા ચાલુ છે. ઈઝરાયલે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૭ હવાઈ હુમલા કર્યા છે. મોટેભાગે દક્ષિણ લેબનોન, બેરૂત અને બેકાને નિશાન બનાવવામાં આવ્યા હતા. ૮ ઓક્ટોબર, ૨૦૨૩ થી લઈને અત્યાર સુધીમાં ઈઝરાયલે લગભગ ૧૦ હજાર રોકેટ છોડ્યા છે. જેના કારણે હજારો લોકો દક્ષિણ લેબનોનમાંથી ભાગી ગયા છે. ઘણા લોકોએ બંકરોમાં આશરો લીધો છે. એક અંદાજ મુજબ લેબનોનમાં ૧૦ લાખથી વધુ લોકો એવા છે જેમની પાસે રહેવા માટે છત નથી.