કાલુપુરના ભરબજારમાં ઘટના બનતાં અફરાતફરી મચી.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ચોખાબજાર પાસે આજે વહેલી સવારે BRTSમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાલુ બસમાં ધુમાડો થતાં ડ્રાઇવરે તાત્કાલિક બસને રોકી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતાં. એકાએક આ ધુમાડો આગમાં ફેરવાઈ જતાં, તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે કોઈ જાનહાનિ જોવા મળી નથી. બસમાં આગ લાગવાના કારણે પ્રેમ દરવાથીથી દરિયાપુર તરફનો રસ્તો ૩૦ મિનિટ સુધી બંધ કરવો પડ્યો હતો.
BRTS બસ નંબર જે૫૫ જે ભાડોજથી નરોડા જાય છે. બસમાં આગ લાગી તે સમયે ૧૦ મુસાફરો બસમાં બેઠા હતાં. જોકે, ચાલુ બસમાં પાછળના ભાગમાં સ્પાર્ક થતાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઇવરને આ વિશે જાણ થતાં તેણે તુરંત જ બસને રસ્તાની બાજુમાં રોકી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધાં.
ડ્રાઈવરે ફાયર એકસ્ટિંગવીશરથી જાતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવરની આ મહેનત નિષ્ફળ ગઈ અને આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગને વધતી જોતા ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો. ઘટનાની જાણકારી મળતાં ફાયરની ત્રણ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગ અન્ય કોઈ જગ્યાએ પ્રસરે તે પહેલાં જ ફાયરના અધિકારીઓએ આગમાં કાબૂ મેળવી લીધો હતો.