ડોલર મજબૂત કરવાની નીતિના લીધે ભારત જેવા ઉભરતા અર્થતંત્રોમાં મોંઘવારીમાં વધારો થઈ શકે, ઇમિગ્રેશનને લઈ ટ્રમ્પનું આકરું વલણ ભારતીય આઇટી પ્રોફેશનલ્સને નડશે: એચવન-બી રિજેકશનમાં વધશે.
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાની સાથે ભારતીય શેરબજાર અને અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે. ટ્રમ્પના વિજયથી ભારતમાં મોંઘવારીમાં વધારો થઈ શકે છે. ભારતીય કંપનીઓના આયાત ખર્ચમાં વધારો થઈ શકે છે. તેના ટેરિફ, ડિપોર્ટેશન પ્લાન અને વધતા નુકસાનથી મોંઘવારી વધી શકે છે. તેમા ઊંચા ટેરિફ અને ઇમિગ્રેશન વિરોધી નીતિઓથી મોંઘવારી વધી શકે છે.
ટ્રમ્પના વિજય સાથે ટેક્સમાં કાપ અને રાજકોષીય પ્રોત્સાહન જેવી નીતિઓના લીધ અમેરિકન ડોલર મજબૂત બની શકે છે અને અમેરિકન બોન્ડ યીલ્ડ ઉપર પહોંચી શકે છે. ડોલર મજબૂત થતાં અમેરિકામાં મૂડીપ્રવાહ આવી શકે છે. તેના લીધે તે વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક બને છે. તેના લીધે ભારત જેવા ઉભરતા બજારો પર દબાણ આવતા રુપિયો નબળો પડી શકે છે. તેના લીધે આગામી સમયમાં રાજકોષીય ખાધ વધી શકે છે.
શેરબજારમાં અસ્થિરતા વધશે
ટ્રમ્પના વિજયના લીધે ભારતીય શેરબાજરમાં ટૂંકાગાળામાં તેજી જોવા મળે, પરંતુ ટ્રમ્પની નીતિઓની આસપાસની અનિશ્ચિતતાના લીધે વૈશ્વિક અને ભારતીય બજાર બંનેમાં અસ્થિરતા જોવા મળી શકે છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં નેસ્ડેકે ૭૭ ટકા રિટર્ન આપ્યું હતો અને તેની સામે નિફ્ટીએ ૩૮ ટકા વળતર આપ્યું હતું.
એચ વન-બી વિઝા પ્રોગ્રામ પર અંકુશ
ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં એચ વન-બી વિઝા પ્રોગ્રામ પર અંકુશ લગાવવાના પ્રયત્નોના લીધે આ વિઝા રિજેક્ટ થવાના પ્રમાણમાં વધારો થયો, પ્રોસેસિંગ ફીમાં વૃદ્ધિ થઈ, આ વિઝા પર નિર્ભરતાના લીધે ભારતીય આઇટી કંપનીઓ પર અસર પડી. ટ્રમ્પ તેમની આ નીતિ ચાલુ રાખી શકે છે.
ટેરિફની તકલીફ
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહી ટીકા કરી હતી. તેણે ભારત પર ઊંચા ટેરિફ લગાવવાનો આરોપ મૂકતા અમેરિકન કારોબર માટે ભયજનક ઉદ્યોગો પર રેસિપ્રોકલ ટેક્સ લગાવવાની ધમકી આપી હતી. આમ તે ઊંચા વેરા લાદે તો ભારતીય નિકાસને અસર થઈ શકે છે. આ સિવાય ભારતીય કંપનીઓનો આયોત ખર્ચ પણ વધી શકે છે.
ભારત-અમેરિકા સંબંધો
ટ્રમ્પની વિદેશ નીતિને સીધા શબ્દોમાં સમજવી હોય તો તે કહી શકાય કે તે અમેરિકાના હિતોને પ્રાધાન્ય આપશે. તેના પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પ ઘણા ચાવીરુપ આંતરરાષ્ટ્રીય કરારમાંથી નીકળી ગયા હતા. તેમા પેરિસ ક્લાઇમેટ અને ઇરાન સાથેની પરમાણુ સંધિ મુખ્ય છે.જો કે ટ્રમ્પ અને ભારત બંનેનું લક્ષ્ય ચીનને આગળ વધતુ રોકવાનું છે. તેથી તેના કાર્યકાળમાં ક્વાડને સમર્થન મળ્યું હતું, આટલું સમર્થન બાઇડેનના કાર્યકાળમાં મળ્યું નથી.
આતંકવાદ વિરોધી પગલાં
ભારતને એક બાબતને લઈને જો સૌથી વધુ સમર્થન મળવાનું હોય તો ટ્રમ્પનું આતંકવાદ વિરોધી વલણ છે. તેના લીધે ભારતને પાકિસ્તાનને અંકુશમાં રાખવામાં મદદ મળશે. ફક્ત એટલું જ નહીં અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓને ટ્રમ્પ અંકુશમાં રાખી શકશે. ટ્રમ્પે તેના પહેલા કાર્યકાળમાં પાકિસ્તાનને આપવામાં આવતી મદદમાં ધરખમ કાપ મૂક્યો હતો. પાક.ના પ્રધાનોને ટ્રમ્પ મળતા પણ ન હતા. આમ આગામી સમય પાકિસ્તાન, ઇરાન અને અફઘાનિસ્તાન બધા માટે કપરો હશે.
લશ્કરી કરાર-સંરક્ષણ સહયોગ
ટ્રમ્પનું નાટો પ્રત્યેનું વલણ જ બતાવે છે કે તે લશ્કરી કરારોને લઈને સાવધાનીપૂર્વકનો અભિગમ દાખવશે. પણ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનને કંટ્રોલમાં રાખવાના સમાન ધ્યેયના લીધે ભારત-અમેરિકા વચ્ચે હાલમાં ચાલતો લશ્કરી સહયોગ કોઈ નવા સ્તરે ન પહોંચે તો પણ વર્તમાન સ્તર જાળવી રાખે તેમ માનવામાં આવે છે. જો કે ટ્રમ્પ ઉદ્યોગપ્રેમી હોવાથી તેના કાર્યકાળમાં લશ્કરી સહયોગમાં કોઈ નવા જ પ્રકારનો અભિગમ જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય.