અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજવામાં આવ્યો છે. ત્યારે આ મહોત્સવમાં ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશથી ૧ લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહ્યા છે. ત્યારે મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપવા માટે સ્ટેડિયમમાં પધાર્યા છે. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું હતું, કે ‘હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઉર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો.
પીએમ મોદીએ યુક્રેન યુદ્ધ સમયનો કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, કે ‘ભુજમાં ભૂકંપ, કેરળમાં પૂર તથા કેદારનાથમાં આવેલી આફતમાં BAPSના કાર્યકરો પરિવાર ભાવથી સેવા કરી હતી. કોરોનાકાળમાં BAPSના મંદિર સેવા કેન્દ્રમાં બદલાઈ ગયા હતા. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનથી પૉલેન્ડ પહોંચી ગયા હતા. તે સમયે મેં BAPSના એક સંત સાથે અડધી રાતે વાત કરી. મેં તેમને આગ્રહ કર્યો કે જે ભારતીય પૉલેન્ડ પહોંચી રહ્યા છે તેમની મદદ માટે મને તમારો સહયોગ જોઈએ. અને રાતોરાત આખા યુરોપથી BAPSના કાર્યકરો મદદ માટે આગળ આવ્યા.’
સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું છે. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
આનંદ સ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, BAPSના તમામ કાર્યકરો ઘણા વર્ષોથી સેવા આપી રહ્યાં છે. જેમાં કેટલાક તો દસકોથી સેવા આપી રહ્યાં છે. આ તમામ કાર્યકરો નિસ્વાર્થ ભાવથી સેવા આપે છે. એક પ્રસંગ હું તમને કહીને કે, ૧૯૯૨માં ગાંધીનગરના અક્ષરધામનું ઉદ્ધાટન થયું હતું. આ સાથે પ્રભસ્વરૂપ યોગીજી મહારાજનો જન્મ સતાબ્દી મહોત્સવ 34 દિવસ સુધી મનાવવામાં આવ્યો હતો, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યાં હતા. જેમાં આઈઆઈએમના મુખ્ય કાર્યવાહક ત્યા આવ્યાં હતા. તેમની આ વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હતા. આ સાથે મહોત્સવમાં એક સંત પાસે જઈને ત્રણ કલાક બેસીને આ વ્યવસ્થા વિશે જાણવું છે તેમ કહ્યું હતું. ત્યારે સંતે કહ્યું કે, આ મોટી સફળતા પાછળ કાર્યકરોનો મુખ્ય ફાળો છે.
જય હો… આનંદ છાયો… સુવર્ણ મહોત્સવના નાદથી સ્ટેડિયમ ગુંજ્યું. ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણીમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓથી આખું સ્ટેડિયમ છલકાયું છે. આ ભવ્ય ઉજવણીમાં સંગીત, ડાન્સ સહિતના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા BAPSના સુવર્ણ મહોત્સવમાં એક લાખ કાર્યકરોના સામૂહિક ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.
BAPSના કાર્યકર સુવર્ણ મહોત્સવમાં આજે શનિવારની સાંજ સુધીમાં રાજ્ય, દેશ-દુનિયાભરમાંથી હરિભક્તો આવશે. જેમાં અમદાવાદ-ગાંધીનગરના ૩૦ હજાર, વડોદરના ૧૦ હજાર, સુરતના ૪૦૦૦, રાજકોટના ૨૬૦૦ સહિતના એક લાખથી વધુ કાર્યકરોઓને પાસની ચકાસણી બાદ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોઈ અણબનાવ ન સર્જાઈ તે માટે શહેર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું પ્રમાણે, સાબરતમી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક રૂટમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત, સાબરમતી જનપથ, પાવર ચાર રસ્તા, પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગ પરિવહન માટે શરૂ રહેશે. જ્યારે ઓઢવ તરફથી દહેગામ રિંગ રોડથી આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના રસ્તે જઈ શકશે. આ સાથે કૃપા રેસિડેન્સીથઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ કોટેશ્વર રોડ, અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.