સરકાર અને કોંગ્રેસ વચ્ચે કોઈને કોઈ મુદ્દે ટક્કર ચાલુ જ રહે છે. હવે પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીએ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખાયેલા અંગત પત્રો પરત કરવા કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને ઔપચારિક વિનંતી કરી છે, જે ૨૦૦૮ માં યુપીએ શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. આ પત્રોને વિરાસત માનવામાં આવે છે અને હવે તેણે મ્યુઝિયમમાં રાખવામાં આવશે અનવે એટલા માટે જ કોંગ્રેસના નેતાને પત્ર લખવામાં આવ્યો છે.
૧૦ ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ સોનિયા ગાંધી પાસેથી મૂળ પત્રો પાછા લઈ લે અથવા તેમની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપે. સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ આવી જ વિનંતી કરવામાં આવી હતી.
સોનિયાને ૫૧ બોક્સમાં પત્રો મોકલાયા
૨૦૦૮ માં, યુપીએ શાસન દરમિયાન, ૫૧ બોક્સમાં પેક કરેલા નેહરુના અંગત પત્રો સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. નેહરુએ આ પત્રો એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત વગેરેને લખ્યા હતા. રિઝવાન કાદરીએ ૧૦ ડિસેમ્બરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. આ પહેલા સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો.
પીએમએમએલ માને છે કે આ ઐતિહાસિક મહત્વના દસ્તાવેજો છે અને તેની પહોંચ જરૂરી છે. આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ દ્વારા ૧૯૭૧ માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને આપવામાં આવ્યા હતા. હવે રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી મૂળ પત્ર મેળવવા અને સોંપી દેવા જણાવાયું છે. હવે જોવાનું એ રહે છે કે રાહુલ અને સોનિયા કેવો પ્રતિસાદ આપએ છે.