પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમા પર ભજન-કીર્તન અને જયકારા સાથે શરૂ થયેલાં મહાકુંભ ૨૦૨૫માં આજે પહેલું અમૃત સ્નાન છે. મકર સંક્રાંતિના અવસર પર વિભિન્ન અખાડાના નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. જેને ‘અમૃત સ્નાન’ (શાહી સ્નાન) કહેવામાં આવે છે. આ મહાકુંભ ૧૨ વર્ષો બાદ આયોજિત કરવામાં આવી રહ્યો છે. જોકે, સંતોનો દાવો છે કે, આ આયોજન માટે ૧૪૪ વર્ષો બાદ એત ખૂબ જ દુર્લભ મુહૂર્ત બન્યું છે. જે મંથન દરમિયાન બન્યુ હતું. ૧૨ વર્ષો બાદ આયોજિત થતો મહાકુંભ ૧૩ જાન્યુઆરીથી શરૂ થયો, જે ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. ૪૫ દિવસો સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનમાં ૪૫ કરોડથી વધારે શ્રદ્ધાળુઓની પહોંચવાની આશા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અનુસાર, આ વખતે મહાકુંભમાં ૧૫ લાખથી વધારે વિદેશી શ્રદ્ધાળુઓ આવવાની આશા છે.
સંત-મહંતોએ લગાવી ડૂબકી
મકર સંક્રાંતિના શુભ અવસર પર ધર્મગુરૂ સ્વામી કૈલાશાનંદ ગિરિએ મહાકુંભ ૨૦૨૫ ના પહેલાં અમૃત સ્નાન માટે સરઘસનું નેતૃત્વ કર્યું હતું. સનાતન ધર્મના ૧૩ અખાડોના સાધુ-સંત આજે ગંગા, યમુના અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમમાં એક-એક કરીને ડૂબકી લગાવી રહ્યા છે.
શાહી સ્નાનનું મહત્ત્વ
કુંભ કે મહાકુંભ દરમિયાન કરવામાં આવેલા કોઈપણ સ્નાન કે શાહી સ્નાન અત્યંત ફળદાયી અને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કુંભ મેળામાં શાહી સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપો તેમજ પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત મહાકુંભમાં લેવામાં આવતું શાહી સ્નાન પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.