બજેટ ૨૦૨૫ પહેલા કેન્દ્ર સરકારે ૮ માં વેતન પંચને મંજૂરી આપવામાં આવી છે. ૮ મું વેતન પંચ ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી લાગુ થશે.
સરકારી કર્મચારીઓને કેન્દ્ર મોદી સરકાર તરફથી મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચને મંજૂરી આપી છે. ૮ માં વેતન પંચના અમલ થતા કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગાર વધી જશે. તમને જણાવી દઈએ કે, ૭ માં પગાર પંચનો સમયગાળો ૩૧ ડિસેમ્બર ૨૯૨૫ ના રોજ સમાપ્ત થશે. અને આઠમું પગાર પંચ ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી લાગુ થવાનું છે.
માહિતી અનુસાર ૮ માં પગાર પંચની રચના પહેલા રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્રની કંપનીઓ વગેરેની સલાહ લેવામાં આવશે. 8માં વેતન પંચના ચેરમેન અને બે સભ્યોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
૮ મું પગાર પંચ ક્યારે લાગુ થશે?
મોદી સરકાર દ્વારા ૨૦૧૬ માં સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી. આઠમું પગાર પંચ ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી લાગુ થશે. સૂચનો, ભલામણો વગેરે સમયસર આવે તે માટે ટૂંક સમયમાં તેની રચના કરવામાં આવી છે. તમને જણાવી દઇયેકે, દરેક પગાર પંચનો કાર્યકાળ ૧૦ વર્ષનો હોય છે. પાંચમા, છઠ્ઠા અને સાતમા પગાર પંચની ભલામણો પણ ૧૦ વર્ષ માટે લાગુ કરવામાં આવી હતી.
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ દ્વારા આઠમાં પગાર પંચની રચના માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી.
નોંધનીય છે કે, દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને તેમની સંસ્થાઓ છેલ્લા ઘણા મહિનાઓથી સતત આઠમા પગાર પંચની રચનાની માંગ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા થોડા દિવસ પહેલા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સરકાર ૮ માં પગાર પંચની રચના સાથે જોડાયેલા કોઇ પણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. પરંતુ આજે (૧૬ જાન્યુઆરી ૨૦૨૫) પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે અચાનક આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપીને કર્મચારીઓ અને પેન્શનરોને ખુશખબર આપી છે.
તમને જણાવી દઈએ કે નવા પગાર પંચની રચના સાથે જ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે પે પેનલ સિસ્ટમ નાબૂદ કરીને એક નવી વ્યવસ્થા શરૂ કરી શકે છે.
દેશના ૬૦ લાખ સરકારી કર્મચારી અને ૬૭ લાખ પેન્શનરોને ફાયદો
સરકારી કર્મચારીઓના સંગઠને તાજેતરમાં યોજાયેલી પ્રી બજેટ બેઠકમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે ૬૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૭ લાખ પેન્શનરો માટે આઠમું પગાર પંચ રચવાનો આગ્રહ રાખ્યો હતો.
તમને જણાવી દઈએ કે યુપીએ સરકાર દરમિયાન ફેબ્રુઆરી ૨૦૧૪ માં ૭ મા પગાર પંચની રચના કરવામાં આવી હતી. પરંતુ તેની ભલામણોને ૨૦૧૬ માં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં લાગુ કરવામાં આવી હતી. ભૂતકાળના વલણોને ધ્યાનમાં રાખીને, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે જાન્યુઆરી ૨૦૨૬ માં તેની ભલામણો લાગુ થવાની હોવાથી નવા પગાર પંચની ટૂંક સમયમાં રચના કરવામાં આવશે.