મહાકુંભમાં નાસભાગ અંગે પ્રત્યક્ષદર્શીનો ખુલાસો.
મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ મચી જેમાં અત્યાર સુધીમાં ૧૦ થી વધુના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ નાસભાગની ઘટના બનવા પાછળનું કારણ બેરિકેડ તૂટી જવાનું જણાવાઈ રહ્યું છે જેના લીધે ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રએ ત્વરીત કાર્યવાહી કરતાં રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે પછી તૂટી ગયેલા બેરિકેડનું સમારકામ કરાવી મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે રાતે ૦૨:૦૦ વાગ્યે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઇ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઇ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. તેણે કહ્યું કે ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઇ રહ્યું છે.
મૌની અમાસ પર સંગમ કિનારે સ્નાન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પોલીસ અને વહીવટી તંત્ર માટે આ ભીડને કાબૂમાં કરવી એ મોટો પડકાર બની ગયો હતો એટલા માટે જ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ વધારે પડતી ભીડને કારણે સ્થિતિ બેકાબૂ થઇ ગઇ.