હાઈવે પર ચક્કાજામ, ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા નહીં.
૩ જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં ૪૩ કરોડ લોકોએ ડૂબકી લગાવી છે. એવામાં લોકો પ્રયાગરાજ ટ્રાફિક જામથી પરેશાન છે. હજુ મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે એટલે કે મહાકુંભમાના હજુ 16 દિવસ બાકી છે. એવામાં જો તમે પણ મહાકુંભ જવાનું વિચારી રહ્યા હોય તો નીકળતા પહેલા ટ્રાફિકની સ્થિતિ અવશ્ય તપાસો. જો તમે આવું ન કરો તો તમને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર છેલ્લા ૭૦ કલાકથી સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલા ભારે ટ્રાફિક જામને કારણે મહાકુંભમાં જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓ નેશનલ હાઈવે પર ફસાયેલા છે. અહેવાલો અનુસાર, લગભગ ૩૦૦ કિલોમીટરના માર્ગ પર જામના કારણે વાહનો આગળ વધી શકતા નથી.
૧૨ ફેબ્રુઆરીના દિવસે માઘ પૂર્ણિમા પણ છે, આ દિવસે કુંભમાં સ્નાન કરનાર ભક્તોની વધુ ભીડ હોય છે. તેમજ મહાકુંભના કારણે કાશી અને અયોધ્યામાં દર્શન કરવા આવતા લોકોનો ધસારો પણ વધી ગયો છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.
૧૫ મી ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ જવાનું ટાળો. તેમજ ૧૨ મી ફેબ્રુઆરીએ માઘ સ્નાન પર પણ ભક્તોની ભીડ રહેશે. તેમજ ૧૩ મી ફેબ્રુઆરીએ બાકી રહેલા ભક્તો સ્નાન કરશે. ૧૫ મી સુધી અયોધ્યા-કાશીના દર્શન કરીને ભક્તો ટેનમાં ઘર જવા નીકળી જશે. આથી આ દિવસો દરમિયાન સંગમ જવાનું ટાળો.
મધ્યપ્રદેશના રીવાથી પ્રયાગરાજ સુધીના માર્ગ પર, આગ્રાથી પ્રયાગરાજ જવાના માર્ગ પર, ગોરખપુરથી પ્રયાગરાજ જવાના માર્ગ પર ટ્રાફિકજામ છે. આ સિવાય બનારસથી પ્રયાગરાજ સુધીના રસ્તા પર ભારે ટ્રાફિક જામ છે. લહરતરા રોડ પર તેમજ સોનભદ્રથી પ્રયાગરાજના રસ્તા પર પણ ટ્રાફિકજામ છે. એવું કહેવું પણ ખોટું નથી કે મધ્ય પ્રદેશની બોર્ડરથી લઈને પ્રયાગરાજમાં પ્રવેશતા સુધી દરેક રસ્તા જામ છે.
મહા કુંભના કારણે મધ્યપ્રદેશમાં પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને સીએમ મોહન યાદવે લોકોને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવાની અપીલ કરી છે. ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રયાગરાજ પહોંચતા રસ્તાઓ પર ૧૦-૧૫ કિલોમીટર લાંબો જામ છે.