ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરાયું છે.
ગુજરાત એસ ટી નિગમ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા સુચના આપવામાં આવી છે. જે અનુસંધાને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરી જાણકારી આપી છે.
હર્ષ સંઘવી ટ્વીટ કરી જણાવ્યું છે કે, ‘રાજ્યમાં અગામી તારીખ તા ૨૭/૦૨/૨૦૨૫ થી તા ૧૦/૦૩/૨૦૨૫ દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરાયું છે. જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની ૨૫૦ જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. હાલમાં જે – તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ૮૫ જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે’
વુધમાં જણાવ્યું છે કે, ‘એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કરેલ છે. એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે’
૧.૧૫ લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૧,૩૮૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ૧૪.૨૮ લાખમાં ૧૨ લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો ૧.૧૫ લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષાના મળીને કુલ ૧૪.૨૮ લાખ વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપશે.
૨૭ ફેબ્રુઆરી પરીક્ષા યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાનાર છે. જેમાં ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી શરૂ થનાર છે.