રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ પેમેન્ટ કંપનીઓ માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સુવિધાનુ વિસ્તરણ કર્યું છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ફિનટેક અને પેમેન્ટ કંપનીઓ પણ હવે એનઈએફટી તથા આરટીજીએસના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરી શકશે. અત્યારસુધી માત્ર બેંકોને જ આરટીજીએસ અને NEFTના માધ્યમથી ચૂકવણીની મંજૂરી આપવામાં આવતી હતી.
રિઝર્વ બેંકનું કેવું છે કે, આ સુવિધા વધારવાથી ફાઇનાન્શિયલ સિસ્ટમમાં સેટલમેન્ટના જોખમને ઓછું કરવામાં મદદ મળશે. તેમજ દેશમાં ડિજિટલ ફાઇનાન્સ સર્વિસિસને પ્રોત્સાહન પણ મળશે.
રેપો અને રિવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં
આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા જ રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી વિકાસ સ્થિર ન થાય ત્યાં સુધી પોલીસી રેટ એકોમડેટીવ રહેશે. એટલે કે, હવે તમારા હોમ અને ઓટો લોન સહિતના હપ્તા પહેલાની જેમ જ રહેશે. હપ્તા ઓછા થવા માટે હજુ ઘણો સમય લાગશે. આ સાથે જ રિઝર્વ બેંકના ગવર્નરે 2021-22 માં 10.5 ટકા જીડીપીની અપેક્ષા વ્યક્ત કરી હતી.
TLTRO સ્કીમની અવધી 6 મહિના વધારાઇ
વધુમાં કહ્યું હતું કે, TLTRO (argeted Long-Term Repo Operations ) સ્કીમની અવધી છ મહિના એટલે કે, 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આરબીઆઈ પોતાના અલગ-અલગ માધ્યમથી બજારમાં તરલતા સપોર્ટ દેવાનું ચાલુ રાખશે.