કર્ણાટક સ્ટેટ બૅન્કમાંથી લૂંટાયેલું સોનું મદુરાઈ જિલ્લાના ઉસીલામપટ્ટીમાં એક ખેત કૂવામાં છુપાવવા બદલ ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે.
પાંચ મહિના પછી બંને ભાઈ પોલીસના હાથે કેવી રીતે પકડાયા? એક સમયે દિશાહીન બની ગયેલી તપાસમાં મોટો વળાંક કેવી રીતે આવ્યો તે અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
તારીખ 28 ઑક્ટોબર, 2024. શનિવાર અને રવિવારની રજાઓ પછી કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં નિયામતી SBI બૅન્ક શાખામાં કર્મચારીઓએ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેઓ અંદરનું દૃશ્ય જોઈને હતપ્રત થઈ ગયા.
કર્મચારીઓએ જોયું કે બૅન્ક શાખાની બારી તૂટેલી હતી અને લૉકરમાંથી અંદાજે ૧૭ કિલો સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. આ સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે પાંચ મહિના બાદ આ ઘટનાને અંજામ આપનાર ભાઈઓની ધરપકડ કરી છે.
દાવણગેરે પોલીસે સોમવારે (૩૧ માર્ચ) જાહેરાત કરી કે તેમણે આ કેસમાં મદુરાઈના ભાઈઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે.
‘આ તેમનો પહેલો ગુનો છે.’ “તેઓએ કોઈ પુરાવો છોડ્યા વિના ઝવેરાત લૂંટી લીધા,” દાવણગેરેના પૂર્વીય ક્ષેત્રના આઈજી રવિકાંત ગૌડા કહે છે.
ગયા વર્ષે ૨૮ ઑક્ટોબરના રોજ કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં નિયામતી SBI બૅન્ક શાખામાં લૂંટની ઘટના બની હતી.
લૂંટારુઓએ બૅન્કની લોખંડની બારી તોડી નાખી હતી અને ગૅસ કટરનો ઉપયોગ કરીને દાગીના ભરેલાં લૉકર તોડી નાખ્યાં હતાં.
કર્મચારીઓને ખબર પડી કે આશરે ૧૭ કિલો સોનાના દાગીના ચોરાઈ ગયા છે.
બૅન્ક કર્મચારીઓએ એ પણ જોયું કે લૂંટારું બૅન્કના સીસીટીવી ફૂટેજ ધરાવતું ડીવીઆર બૉક્સ લઈ ગયા હતા અને કોઈ નિશાન છુપાવવા માટે લૂંટના સ્થળે મરચાંનો પાવડર છાંટ્યો હતો.
માહિતી મળતાં, સન્નાગિરિ પોલીસ સબ-ડિવિઝન એએસપી સેમ વર્ગીસ અને એસપી ઉમા પ્રશાંતના નેતૃત્વમાં અધિકારીઓ બૅન્ક પર પહોંચ્યા અને તપાસ હાથ ધરી. બૅન્ક લૂંટ અંગે પીએનએસ ઍક્ટ હેઠળ એફઆઈઆર નોધવામાં આવી.
આ કેસમાં લૂંટારુંની ટોળકીને પકડવા માટે એસપી ઉમા પ્રશાંતના નેતૃત્વમાં છ ખાસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.
થાવનરે પોલીસે બૅન્કના ૮ કિમી અને ૫૦ કિમીના ત્રિજ્યામાં આવેલા સીસીટીવી ફૂટેજ તેમજ લૂંટ સમયે સેલ ફોન ટાવર પર રેકૉર્ડ થયેલા નંબરોનો ઉપયોગ કરીને સઘન તપાસ હાથ ધરી હતી.
ભદ્રાવતીમાં SBI બૅન્કની શાખામાં પણ આવી જ લૂંટની ઘટના બની હોવાથી પોલીસને શંકા હતી કે ઉત્તરીય રાજ્યના લૂંટારુંની ટોળકી આમાં સામેલ હોઈ શકે છે.
આ સંદર્ભમાં ગયા વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી પાંચ ખાસ ટીમો ઉત્તર પ્રદેશ સહિત ઉત્તરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવા માટે સીધી ગઈ હતી.
દાવણગેરે પૂર્વ ઝોનના આઈજી રવિકાંત ગૌડા કહે છે, “છેલ્લાં પાંચ મહિનામાં લૂંટ અંગે કોઈ પત્તો લાગ્યો ન હતો. તેઓએ આંગળીનાં નિશાન સહિત કોઈ નિશાન છોડ્યું ન હતું.” એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે આ વાત કહી.
તેમણે કહ્યું, “લૂંટ સમયે રેકૉર્ડ કરેલા સેલ ફોન નંબરોની તપાસ કરતી વખતે એક નંબર વિશે શંકા જાગી. ત્યાર બાદ તેઓ એક પછી એક પકડાઈ ગયા.”
પોલીસને શરૂઆતમાં આ કેસમાં નિયામતીના રહેવાસી મંજુનાથ નામના વ્યક્તિ પર શંકા હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે મદુરાઈ જિલ્લાના ઉસીલમપટ્ટીના અજયકુમાર, વિજયકુમાર અને પરમાનંદમનાં નામ આપ્યાં.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે વિજયકુમાર અને અજયકુમાર ભાઈઓ હતા અને લૂંટમાં સામેલ હતા. નિયામતી વિસ્તારના તેમના સંબંધીઓ પરમાનંદમ, ચંદ્રશેખર અને અભિષેકની પણ ધરપકડ કરાઈ હતી.
આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પ્રેસ કૉન્ફરન્સમાં જણાવતા આઈજી રવિકાંત ગૌડાએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે નિયામતી અને શિવમોગા વિસ્તારોમાં લૂંટ માટે જરૂરી ગૅસ કટર, ટોપી અને મોજાં ખરીદ્યાં હતાં.

પત્રકારપરિષદ દરમિયાન, રવિકાંત ગૌડાએ લૂંટના કેસમાં ધરપકડ કરાયેલા વિજયકુમારની પૃષ્ઠભૂમિ વિશે પણ વાત કરી હતી.
વિજયકુમાર, જે ૨૦ વર્ષથી વધુ સમયથી પોતાના પિતા સાથે નિયામતીમાં બેકરી ચલાવી રહ્યા હતા, તેમણે ગયા વર્ષે SBI બૅન્કમાંથી લોન માટે અરજી કરી હતી.
જોકે, તેમની અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે તેમના સંબંધીના નામે લોન માટે અરજી કરી. તે પણ નકારી કાઢવામાં આવી હતી.
આઈજી રવિકાંત ગૌડાના જણાવ્યા પ્રમાણે આ પછી જ તેમણે (વિજયકુમારે) લૂંટમાં જોડાવાનું નક્કી કર્યું અને થોડા મહિનાઓથી વેબસાઇટ્સ દ્વારા તેમના માટે તાલીમ લઈ રહ્યા હતા.
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓએ લૂંટમાં વપરાયેલી વસ્તુઓ, જેમ કે ટોપી, મોજાં, ગૅસ સિલિન્ડર અને હાઇડ્રોલિક કટરને તળાવમાં ફેંકી દીધાં હતાં.
