બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓના રક્ષણની જવાબદારીથી ભાગવા અને બહાના બનાવવાનું બંધ કરવા જણાવ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતા ભાવેશ ચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાથી અમને દુઃખ થયું છે. આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના અત્યાચારોની શ્રેણીનો ભાગ લાગે છે, જ્યારે જૂના કેસોના ગુનેગારો હજુ પણ મુક્તપણે ફરે છે.’
ઢાકાથી લગભગ ૩૩૦ કિ.મી. ઉત્તરપશ્ચિમમાં દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી ભાવેશ ચંદ્ર રોય (૫૮)નો મૃતદેહ ગુરુવારે (૧૭મી એપ્રિલ) રાત્રે મળી આવ્યો હતો. ભાવેશ ચંદ્ર રોયને સાંજે ૦૪:૩૦ વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો અને ગુનેગારોએ ઘરમાં તેમની હાજરીની પુષ્ટિ કરવા માટે ફોન કર્યો હતો. લગભગ ૩૦ મિનિટ પછી, ચાર માણસો બે બાઈક પર આવ્યા અને તેનું અપહરણ કરીને હત્યા કરાઈ હતી.