કોરોનાની બીજી લહેર જીવલેણ:20 વર્ષમાં રોજ 20 સિગારેટ પીવાથી થતું નુકસાન બીજી લહેરનો વાયરસ 2થી 3 દિવસમાં કરે છે, ફેફસાંમાં 70 ટકા સુધી ઇન્ફેક્શન થાય છે

કોરોનાના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં રાજયભરમાં ચોંકાવનારો વધારો થયો છે. એનું કારણ એ છે કે પ્રથમ વેવમાં વાયરસ શરીરમાં પ્રવેશે એના પાંચ કે સાત દિવસ પછી ફેફસાં સુધી પહોંચતો હતો, અત્યારની પેટર્નમાં વાયરસ શરીરમાં પ્રવેશે તેના બીજા કે ત્રીજા દિવસે જ સીધો ફેફસાં સુધી પહોંચી જાય છે. ફેફસાં સુધી પહોંચે એટલું જ નહીં, પરંતુ 50થી 70 ટકા ફેફસાંને ઈન્ફેકટ કરી દે છે.

હજુ તો કોઈ દર્દીએ એન્ટિજન, આરટીપીસીઆર કે સીટી સ્કેન કરાવ્યો હોય અને એનું પરિણામ આવે એના 24 કલાકમાં જ ફેફસાંમાં ઈન્ફેકશનનું પ્રમાણ 50થી 70 ટકાએ પહોંચી જતું હોય છે. આ કારણે સેકન્ડ વેવમાં મોત વધી રહ્યાં હોવાનું તબીબોનું માનવું છે. પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે કોઈ વ્યકિત રોજની 20 સિગારેટ સતત 20 વર્ષ સુધી પીવે ત્યારે ફેફસાં આટલાં ડેમેજ થઈ શકે છે જે વાયરસને કારણે બેથી ત્રણ દિવસમાં થઈ જાય છે.

સુરતની સિવિલમાં 80 ટકા દર્દીઓ ઓક્સિજન પર
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80 ટકા દર્દીઓ ઓકિસજન પર છે. જેમના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકીના મોટા ભાગના દર્દીઓના સીટી સ્કેન કરાવવામાં આવ્યા નથી, કેમ કે 700થી વધુ દર્દીઓના સીટી સ્કેન કરાવવા શકય નથી, પરંતુ ડોકટરો કહે છે કે ઓકિસજન પર દર્દી ત્યારે જ હોય જ્યાારે તેમનાં ફેફસાં 40 ટકા કરતાં વધુ ડેમેજ હોય શકે છે. અને રોજબરોજ જે નવા દર્દી દાખલ થાય છે, એમાં પણ 89 ટકા દર્દીઓને ઓકિસજનની જરૂર પડે છે. જો 15થી 29 ટકા ફેફસાં ઈન્ફેકટ થયાં હોય તો તેવા દર્દીને ઓકિસજનની જરૂર પડતી નથી.

પ્રથમ વેવનો પાંચમો દિવસ – ફેફસાંને સામાન્ય ઇન્ફેક્શન
પ્રથમ વેવમાં વ્યક્તિને ચેપ લાગતો હતો ત્યારે પહેલા 5થી 7 દિવસમાં સીટી સ્કેનનો રિપોર્ટ નોર્મલ આવતો હતો. જૂજ કિસ્સામાં જ ઇન્ફેક્શન 50 ટકાથી ઉપર આવતું હતું.

બીજો વેવનો બીજો દિવસ – 50 ટકા ઇન્ફેક્શન થયું
ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડો. પ્રતીક સાવજના જણાવ્યા અનુસાર, પ્રથમ વેવ કરતાં હાલનો બીજો વેવ વધુ ઘાતક છે, કારણ કે વાયરસની પેટર્ન બદલાઈ છે. ત્રણ દિવસમાં મોટા ભાગના દર્દીઓનાં ફેફસાં 30થી 70 ટકા ડેમેજ થઈ જાય છે. ઓકિસજનની વધુમાં વધુ જરૂર પડે છે અને આ સ્થિતિ યંગસ્ટર્સમાં પણ વધુ જોવા મળી રહી છે.

બીજો વેવનો ત્રીજો દિવસ – 70 ટકા ઇન્ફેક્શન થયું
દર્દી દાખલ થયાના ત્રીજા જ દિવસે 70% ઇન્ફેક્શન
અમરેલીના દર્દીને કોરોના થયા બાદ ત્યાં દાખલ થવા માટે પ્રયાસ કર્યા, પણ ત્યાં બેડ નહીં મળતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા. ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને શનિવારે સવારે તેઓ અહીં દાખલ થયા. અહીં ડોકટરે સીટી સ્કેન કરાવ્યું તો તેમનાં ફેફસાંમાં 70 ટકા ઈન્ફેકશન ફેલાઈ ગયું છે. માત્ર ત્રણ જ દિવસમાં હજુ તો દર્દી દાખલ થાય એ પહેલાં ફેફસાં વાયરસ લોડથી ભરાઈ ગયા છે. પ્રથમ વેવમાં આવી સ્થિતિ 7થી દસ દિવસે અને દર્દી મોડો હોસ્પિટલમાં દાખલ થયો હોય ત્યારે જોવા મળતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *