પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ થોડા દિવસ પહેલા ભારતને ધમકી આપી હતી. સિંધુ જળ કરારને રોકવા બાબતે બિલાવલે કહ્યું હતું કે, સિંધુ નદીમાં જો પાણી નહીં વહે તો તેમાં લોહી વહાવી દઇશું. તેમની આ ટિપ્પણીની ખૂબ જ ટીકા થઈ હતી. જોકે, આ દરમિયાન તેમણે એક એવું કબૂલનામું કર્યું, જેણે પાકિસ્તાનના ગુનાઓને આખી દુનિયા સામે ઉજાગર કરી દીધા છે. બિલાવલ ભુટ્ટોએ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના એ કબૂલનામાને સાચું જણાવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરે છે. અમે આશરે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આ કામ કર્યું છે. અમને આતંકવાદીઓને પાળવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.’
હવે બિલાવલ ભુટ્ટોએ પણ આ વાતને યોગ્ય જણાવી છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા સમયે બિલાવલે કહ્યું કે, ‘જ્યાં સુધી સંરક્ષણ મંત્રીની વાત છે. મને નથી લાગતું કે, એમાં કોઈ રહસ્ય છે કે પાકિસ્તાનનો એક ઈતિહાસ રહ્યો છે. તેનું પરિણામ આપણને ભોગવવું પડ્યું છે. આપણે ત્યાં કટ્ટરતાની લહેર પેદા થઈ. પરંતુ, હવે આપણે થોડા પાઠ પણ ભણ્યા છે. આપણે આ સમસ્યાનો સામનો કરવા માટે અમુક આંતરિક સુધારા પણ કર્યા છે. એ હકીકત છે કે, પાકિસ્તાનનો એક કટ્ટરતાનો ઈતિહાસ રહ્યો છે, જેને નકારી ન શકાય. પરંતુ, હવે આપણે તેનાથી આગળ નીકળી ગયા છીએ.’
પાકિસ્તાનના ઈતિહાસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આ ગઈકાલ જ છે. આજના નિર્ણય આપણા કાલથી પ્રભાવિત નથી. એ વાત સાચી છે કે, તે આપણી દુર્ભાગ્યપૂર્ણ કાલ હતી. હવે પાકિસ્તાને આતંકવાદનો સામનો કરવા યોગ્ય પગલા લીધા છે અને તેની અસર પણ જોવા મળે છે.’
ખ્વાજા આસિફને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તમે માનો છો કે, પાકિસ્તાનનો આતંકવાદનું સમર્થન કરવા, ટ્રેનિંગ અને ફંડિગ આપવાનો ઈતિહાસ રહ્યો છે?
પ્રશ્નનો જવાબ આપતા ખ્વાજા આસિફે કહ્યું હતું કે, ‘પાકિસ્તાને લગભગ ત્રણ દાયકા સુધી આ ગંદુ કામ અમેરિકા માટે કર્યું છે. પશ્ચિમી દેશો અને બ્રિટન માટે પણ આવું જ કર્યું છે. આ આપણી ભૂલ હતી અને તેનું પરિણામ ભોગવી રહ્યા છીએ. આ જ કારણ છે કે, આજે તમે મને આવો પ્રશ્ન કરી રહ્યા છો. જો આપણે સોવિયત સંઘ સામે ચાલી રહેલા યુદ્ધમાં ભાગ ન લીધો હોત અમે ૯/૧૧ હુમલા બાદ અમેરિકાનો સાથ ન આપ્યો હોત તો આપણી કહાણી કંઈક અલગ હોત.