ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ભરઉનાળે રાજ્યના મોટાભાગમાં વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કરા પડવા અને પવન ફૂંકાયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે (૪ મે, ૨૦૨૫) રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યાર આજે સોમવારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે અલગ-અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો છે. જેમાં આજે સોમવારે (૫ મે, ૨૦૨૫) અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. હવામાનની આગાહીને પગલે જાણે વાવાઝોડું જેવી સ્થિતિ ઊભી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે શહેરના એસજી હાઈવે, નારણપુરા, ઈસ્કોન સહિતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી હોવાનું સામે આવ્યું છે.


