સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ લાઈટો કરાઈ બંધ
પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવીને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં બ્લેકઆઉટ શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યના અલગ અલગ સમયે ક્ષેત્ર પ્રમાણે ૦૭:૩૦ વાગ્યાથી તબક્કાવાર બ્લેકઆઉટનું આયોજન કરાયું છે. પૂર્વ ગુજરાતના ૭ જિલ્લા (ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા)માં ૦૭:૩૦ થી ૦૮:૦૦ કલાક સુધી, પશ્ચિમ ગુજરાતના ૫ જિલ્લા (જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબી)માં ૦૮:૦૦ થી ૦૮:૩૦ કલાક સુધી, મધ્ય ગુજરાતના ૬ જિલ્લામાં (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદ)માં ૦૮:૩૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધી બ્લેક આઉટનું આયોજન કરાયું છે. આ અગાઉ રાજ્યના વિવિધ સ્થળોએ મોક ડ્રીલ પણ યોજાઈ હતી, જે દરમિયાન લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની માહિતી આપવામાં આવી હતી.
ઓપરેશન અભ્યાસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. મોક ડ્રીલ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બ્લેક આઉટ પણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી છે.

