અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. અરબી સમુદ્રમાં ગોવા, કોંકણ પાસે સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમ આગળ વધે તો ગુજરાતના વિસ્તારોમાં પણ અસર વર્તાઇ શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી હોવાનું સ્કાયમેટનું અનુમાન છે. હાલ અરબી સમુદ્ર પર એન્ટિ સાયક્લોન અને રિઝ બનેલી છે એટલે ટ્રેક નક્કી ન હોવાનું જાણીતી હવામાન એજન્સીનું અનુમાન છે.
સાયલક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આજથી ૭ દિવસ ૧૨ થી વધુ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે કન્ટ્રોલ રૂમ શરૂ કરવા પણ સૂચના આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મીની વાવાઝોડું ફૂકાયું હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક વૃક્ષો, હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. ભારે પવનના કારણે ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા.
ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ૭ દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ અલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાને લઈને સૂચના આપી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૨૮ મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ૧૨ થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે શુક્રવારે એટલે કે ૨૩ મેથી ૨૫ મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ૨૬ મેના રોજ રાજ્યના ૧૫ જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો અલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે મેઘગર્જના થશે.
સૌરાષ્ટ્રમાં ગુરૂવારે સાંજ સુધી પરસેવે રેબઝેબ કરતા અસહ્ય બફારા બાદ સાંજે ગાજવીજ અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ, ગોડલ, અમરેલી, જામજોધપુર પંથકમાં વરસાદ તો અડધાથી એક ઈંચ વરસ્યો પણ પ્રિમોન્સૂન તૈયારીની પોલંપોલની ફરિયાદો વચ્ચે અનેક બોર્ડ ઉડ્યા,વૃક્ષો ધસી પડ્યા,રસ્તા બંધ થયા હતા અને સામાન્ય વરસાદે જળબંબાકાર સર્જાયો હતો. રાજકોટમાં બે સ્થળે તોતિંગ હોર્ડીંગ બોર્ડ અને ૩૦ થી વધુ સ્થળે વૃક્ષો અને તેની ડાળીઓ ધસી પડી હતી. સામાન્ય વરસાદે વાહનો પસાર ન થઈ શકે એટલા પાણી ભરાયા હતા અને તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલંપોલ ખુલી પડી હતી.

