આજે આઈપીએલ ૨૦૨૫ ની ફાઈનલ મેચ રમાશે. આ વર્ષે એવી ટીમ ચેમ્પિયન બનશે જેણે પહેલા ક્યારેય ટ્રોફી જીતી નથી, કારણ કે એક તરફ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને બીજી તરફ પંજાબ કિંગ્સ. આરસીબી એ ક્વૉલિફાયર મુકાબલામાં પીબીકેએસ ને મ્હાત આપી હતી. પીબીકેએસ એ બીજી ક્વૉલિફાયર મેચમાં જીત નોંધાવીને વાપસી કરી અને ફાઈનલમાં જગ્યા બનાવી. હવે સવાલ એ થાય છે કે આ બંનેમાંથી મજબૂત ટીમ કઈ? આંકડાઓમાં જુઓ કોનું પલડું ભારે….
આરસીબી અને પીબીકેએસ બંને ટીમો આ વર્ષે ૯-૯ મેચો જીતીને પ્લેઓફ સુધી પહોંચી
આઈપીએલ ના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે કુલ ૩૬ વખત મેચ થઈ અને રોમાંચક વાત એ છે કે બંને ટીમોએ ૧૮-૧૮ મેચો જીતી છે
જોકે આ વર્ષના આંકડા જોઈએ તો આરસીબી નું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે આ સીઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાઈ જેમાંથી બેમાં આરસીબી ની જીત થઈ.
આરસીબી ના કેપ્ટન રજત પાટીદાર તથા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે આઈપીએલ પહેલા પણ ફાઈનલ મેચમાં મુકાબલોમાં થઈ ચૂક્યો છે. છ મહિના પહેલા જ ડિસેમ્બર મહિનામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ બંને ખેલાડીઓ કેપ્ટન તરીકે ફાઈનલ મેચમાં સામસામે હતા. રજત પાટીદાર મધ્ય પ્રદેશ તો શ્રેયસ અય્યર મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે સમયે શ્રેયસ અય્યરની ટીમને જીત હાંસલ થઈ હતી.

