હિન્દ મહાસાગરના હાર્દ સમાન, અતિ વ્યૂહાત્મક ટાપુ-સમુહ માલદીવનાં પાટનગર માલેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવી પહોંચતાં તેઓનું ‘રેડ-કાર્પેટ’થી સ્વાગત કરાયું હતું. પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતે વિમાનગૃહે તેઓને આવકારવા તેમના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો સાથે હાજર રહ્યા હતા. ગાર્ડ-ઓફ-ઓનર અપાયા પછી મોદી હોટેલ પર જવા રવાના થયા ત્યારે સમગ્ર માર્ગ ઉપર ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત છે’ તેવું લખેલા પોસ્ટર્સ અને બેનર્સ દેખાતા હતા.
આવતીકાલે યોજાનારા માલદીવના ૬૦મા સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાન મોદી ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ પ્રમુખ મુઈજ્જુનાં આમંત્રણથી માલદીવની મુલાકાતે આવ્યા છે.
માલદીવમાં મુઈજ્જુ પ્રમુખપદે આવ્યા પછીની મોદીની આ પહેલી મુલાકાત છે. જોકે તે પૂર્વે બે વખત તેઓ માલદીવ આવ્યા હતા.
વડાપ્રધાન મોદી માલદીવ પહોંચ્યા તે પૂર્વે ત્યાં રહેલા એક ભારતવંશીએ કહ્યું હતું કે, ‘અમો આ મહાન નેતાને લીધે ગર્વ અનુભવીએ છીએ, ‘ઓપરેશન-સિંદૂર’ અંગે પણ અમે ગર્વીષ્ટ છીએ. તેઓએ લીધેલા અનેકવિધ પગલાંથી પણ અમોને ગર્વ થાય છે.’
માલદીવમાં પોતાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી વ્યાપાર, પ્રવાસ, સહેલગાહ, ઊર્જા અને સંરક્ષણ તથા આર્થિક બાબતો અંગે બહુવિધ કરારો કરવાના છે. તેના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ વિષે પણ કરારો થશે.
સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે પ્રચંડ સુનામી સમયે ભારતે માલદીવને ખાદ્ય પદાર્થો ઉપરાંત પીવાનાં પાણીની પણ લાખ્ખો બોટલો મોકલી હતી. આમ છતાં કેટલાક સમય માલદીવ ચીન તરફી રહ્યું પરંતુ ચીને પ્રમુખ સાથે ‘ખંડીયા રાજા’ જેવો કરેલો વર્તાવ તેથી ત્યાં થાણા નાખવાની ચીનની ચાલ નિષ્ફળ રહી. બીજી તરફ હિન્દ મહાસાગરનાં આ અત્યંત વ્યૂહાત્મક ટાપુ રાષ્ટ્રને સહાય કરે. ભારતે તેનું દિલ જીતી લીધું હતું તેમની મુઈજ્જુ અને તેઓનાં પત્નીનું ભારતમાં કરાયેલા ભવ્ય સ્વાગતે બાજી ફેરવી નાખી છે. માલદીવ ભારતનું મિત્ર બની રહ્યું છે.