૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ, ૧૬ ઓગસ્ટ જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ ૩ દિવસ રજાને પગલે બહાર ફરવા જવા માટેનો ધસારો વધ્યો છે. અમદાવાદથી સોમનાથ જવા માટેની ટ્રેનનું વેઇટિંગ ૧૫૦ જેટલું થઈ ગયું છે, જ્યારે દ્વારકા માટે એસટીની ૧૬ માંથી ૧૩ બસ પેક થઈ ગઈ છે. બીજી બાજું અમદાવાદથી ગોવા અને જયપુર જવા માટેના એરફેર ૧૮ હજાર સુધી પહોંચી ગયા છે. આ સિવાય પ્રાઇવેટ કેબમાં પણ સામાન્ય દિવસો કરતાં ભાડામાં વધારો કરી દેવાયો છે.
હાલ ખાસ કરીને સોમનાથ, દ્વારકા જવા માટે સૌથી વધુ ધસારો છે. અમદાવાદથી દ્વારકા માટેની એસટી બસ પેક થઈ ગઈ છે. એસટી બસોમાં ટિકિટ નહીં મળતાં દ્વારકા જવા માગતા આ તકનો લાભ લઈને ખાનગી બસોએ પણ ભાડામાં સામાન્ય દિવસો કરતાં વધારો કરી દીધો છે. અમદાવાદથી દ્વારકા માટેનું ખાનગી બસનું ભાડું ૧૬૦૦ જેટલું થઈ ગયું છે. અમદાવાદથી સોમનાથ માટે પણ આવી જ સ્થિતિ છે. ૧૪ ઓગસ્ટે અમદાવાદથી સોમનાથ જતી ૧૪ માંથી ૧૨ બસ પેક થઈ ગઈ છે.
સ્થળ | વેઇટિંગ |
દ્વારકા | ૭૪ |
સોમનાથ | ૧૪૯ |
જૂનાગઢ | ૬૩ |
ઉજ્જૈન | ૦૦ |
આબુ | ૩૬ |
ઉદયપુર | ૨૧ |
મુંબઈ | ૧૦૨ |
ગોવા | ૦૦ |
મુસાફરોના ધસારાને પગલે દ્વારકા સોમનાથ જવા માટે વધારાની બસ દોડાવવી પડે તેવી સંભાવના છે. ટ્રેનોમાં પણ અમદાવાદથી સોમનાથ જવા માટે વેરાવળ સુધી જવા માટેની ટ્રેનમાં વેઇટિંગ ૧૫૦ જેટલું છે. આ સિવાય દ્વારકા માટે ૬૪, જૂનાગઢ માટે ૬૩ નું વેઇટિંગ છે. ઉજ્જૈન અને ગોવા જવા માટે ‘રિગ્રેટ’ એટલે કે ટિકિટ મળી શકવા માટે અસમર્થતા જ દર્શાવી દેવામાં આવી છે. અમદાવાદથી આબુ રોડ જતી ટ્રેનનું વેઇટિંગ ૩૬ છે.
વિમાનની મુસાફરીની વાત કરવામાં આવે તો અમદાવાદથી ગોવા અને જયપુરની ફ્લાઈટમાં સૌથી વધુ ધસારો છે. આ સિવાય મુંબઈનું એરફેર વધીને રૂપિયા ૧૧,૦૦૦ થઈ ગયું છે. મુંબઈથી અનેક લોકો લોનાવલા, ખંડાલા જવાનું આયોજન કરી રહ્યા છે. અનેક સાપુતારા, ડાંગ, માઉન્ટ આબુ, ઉદયપુર, શ્રીનાથજી બાય રોડ પણ જવાના છે. મુસાફરોના ધસારાને લીધે માઉન્ટ આબુ, ઉદયપુર, સાપુતારામાં સામાન્ય દિવસો કરતાં બમણું ભાડું ચૂકવવા છતાં પણ રૂમ મળે નહીં તેવી સ્થિતિ છે.
