દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદીએ ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી છે. જેમાં કોરોના રસીકરણ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, આઈસીએમઆરના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે.
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 43 લાખ 72 હજાર 907
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
- કુલ એક્ટિવ કેસ – 36 લાખ 73 હજાર 802
- કુલ મોત – 2 લાખ 66 હજાર 207